Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આયુષ્માન ભારત’ હેઠળ ગુજરાત સરકારે એક વર્ષમાં 7523 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ...

    ‘આયુષ્માન ભારત’ હેઠળ ગુજરાત સરકારે એક વર્ષમાં 7523 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ સ્થાપ્યાં, 7006 કેન્દ્રોનો હતો લક્ષ્યાંક

    ગુજરાતે પોતાના લક્ષાંક કરતા મોટી સંખ્યામાં આયુષ્માન ભારત યોજના હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરુ કર્યા છે, જે એક વિક્રમ પણ છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22 માં 7523 જેટલાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરી છે. સરકારે આ વર્ષ માટે કુલ 7006 કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે તેના કરતાં વધુ કુલ 7523 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

    આ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની નિમણુંક કરવામાં આવે છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં 6215 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આ કેન્દ્રોના માધ્યમથી 7,83,06,876 લાભાર્થીઓએ ઓપીડીનો લાભ લીધો છે. તેમાં 7,18,65,712 લાભાર્થીઓને આ સેન્ટર્સમાં દવાની સુવિધા પૂરી પાડવામાં આવી. જયારે 3,80,03,926 લાભાર્થીઓને નિદાન સેવાઓનો લાભ લીધો અને 35,57,246 લાભાર્થીઓએ આ કેન્દ્રોમાં યોજાયેલા વેલનેસ સેશન્સનો લાભ લીધો છે.

    શું છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર?

    આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના ગામડાના તમામ લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાનો છે. આ યોજના આયુષ્માન ભારત હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં સીએચઓ (કમ્યુનિટી હેલ્થ ઓફિસર), સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકરોનો સ્ટાફ તૈનાત રહે છે, જેઓ સ્થાનિક સ્તરે બિન-ચેપી રોગો પર ઓપીડી અને વરિષ્ઠ ડોકટરો સાથે ટેલીકન્સલ્ટેશનમાં કામ કરે છે.

    આયુર્વેદ, યોગ અને એલોપેથીના એકીકરણના ઉદ્દેશથી આ કેન્દ્રોમાં આરોગ્ય સંકલન નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેના માટે અત્યાર સુધીમાં 1500 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સને 21 દિવસની તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, તેના માટે રાજ્યભરમાં કુલ 9 આયુર્વેદિક કોલેજોની પણ ઓળખ કરવામાં આવી છે.

    ગુજરાત ટૂંક સમયમાં મોડલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરશે

    ગુજરાત સરકારે મોડેલ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે. આ કેન્દ્રોમાં સંગીત, મ્યુઝિક થેરાપી, આયુર્વેદિક/હર્બલ ગાર્ડન, આરોગ્ય સંકલન, ફિઝિયોથેરાપી, વ્યાયામ માટે ઓપન જીમ, વૉકિંગ ટ્રેક અને પ્લે એરિયા સાથે આધુનિક સુવિધાઓ સાથે લાફિંગ ક્લબ અને યોગ સેન્ટર જેવી સુવિધાઓ હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં