Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાતા-પુત્રની મુશ્કેલીઓ વધી : નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડીની સોનિયા અને રાહુલને...

    માતા-પુત્રની મુશ્કેલીઓ વધી : નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડીની સોનિયા અને રાહુલને નોટિસ, પૂછપરછ માટે હાજર રહેવા ફરમાન 

    નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઇડી દ્વારા નોટીસ પાઠવવામાં આવતાં આ માતા-પુત્રની જોડીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

    - Advertisement -

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ પાઠવવામાં આવી છે. સ્વયં કોંગ્રેસ પાર્ટી તરફથી આ જાણકારી આપવામાં આવી છે. કોંગ્રેસે પુષ્ટિ કરી છે કે આ નોટિસ નેશનલ હેરાલ્ડ મામલે પાઠવવામાં આવી છે.

    કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ આપેલી જાણકારી અનુસાર ઇડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને 8 જૂનના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે, “સોનિયા ગાંધી 8 જૂનના રોજ પૂછપરછમાં સામેલ થશે. જ્યારે રાહુલ ગાંધી હાલ વિદેશ યાત્રાએ ગયા છે. જો તેઓ ત્યાં સુધીમાં પરત ફરે તો જશે નહીં તો ઇડી પાસેથી વધુ સમય માંગવામાં આવશે.”

    અહીં નોંધવું જોઈ કે એપ્રિલ 2022માં ઇડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પણ પૂછપરછ કરી હતી. આ કાર્યવાહી નેશનલ હેરાલ્ડ કેસ સબંધિત મની લોન્ડ્રિંગ કેસ મામલે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    નોંધનીય છે કે વર્ષ 2020 માં ઇડીએ PMLA એક્ટ હેઠળ મુંબઈના બાંદ્રામાં એક સંપત્તિ જપ્ત કરી લીધી હતી. કરોડો રૂપિયાની માર્કેટ વેલ્યૂ ધરાવતી કંપની ગેરકાયદેસર રીતે એસોસિએટ જર્નલ લિમિટેડને ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. 

    ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરીને નેશનલ હેરાલ્ડની સંપત્તિઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. બાંદ્રાની આ સંપત્તિ નેશનલ હેરાલ્ડને વર્ષ 1983 માં અખબાર પ્રકાશિત કરવા માટે ઓછા દરે આપવામાં આવી હતી. 

    આ ઉપરાંત, ઇડીએ ડિસેમ્બર 2018 માં એસોશિએટ જર્નલ્સ અને નેશનલ હેરાલ્ડ કેસ મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હુડ્ડાને ફાળવવામાં આવેલ મોહાલી સ્થિત 30 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. 

    નેશનલ હેરાલ્ડ કેસ ભારતના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ કેસો પૈકીનો એક છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીને સીધા આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કેસમાં તેમના સાથીદારો ઓસ્કાર ફર્નાન્ડિઝ, મોતીલાલ વોહરા અને સેમ પિત્રોડા પણ આરોપી છે. અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ 1939માં જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે 1956 માં એસોશિએટ જર્નલ્સ લિમિટેડ નામની એક કંપની બનાવવામાં આવી હતી. 2008 માં આ અખબારના તમામ પ્રકાશન બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તેની ઉપર 90 કરોડ રૂપિયાનું દેવું હતું.

    વર્ષ 2011 માં કોંગ્રેસ પાર્ટીએ આ દેવું પોતાને માથે લઇ લીધું હતું, એટલે કે પાર્ટીએ 90 કરોડની લોન આપી હતી. જે બાદ પાંચ લાખ રૂપિયાથી યંગ ઇન્ડિયન કંપની બનાવવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ભાગીદારી 38-38 ટકા છે અને બાકીનો હિસ્સો કોંગ્રેસ નેતા મોતીલાલ વોહરા અને ઓસ્કાર ફર્નાન્ડિઝ પાસે છે. જે બાદ AJL કંપનીએ 10-10 રૂપિયાના નવ કરોડ શેર કંપની ‘યંગ ઇન્ડિયન’ને આપ્યા હતા અને તેના બદલામાં યંગ ઇન્ડિયને કોંગ્રેસની લૉન ચૂકવવાની હતી. 9 કરોડ શેર સાથે યંગ ઇન્ડિયનને કંપનીના 99 ટકા શૅર મળી ગયા હતા અને જે બાદ કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડની લૉન પણ માફ કરી દીધી હતી. આમ યંગ ઇન્ડિયનને સાવ મફતમાં AJL ની માલિકી પ્રાપ્ત થઇ ગઈ હતી.

    મોતીલાલ વોરાનું ડિસેમ્બર 2020માં અને ઓસ્કાર ફર્નાન્ડીઝનું સપ્ટેમ્બર 2021માં અવસાન થયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં