Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખંભાત બાદ હવે હિંમતનગરમાં ચાલ્યું ‘દાદાનું બુલડોઝર’ : રામનવમીના દિવસે મુસ્લિમ ભીડે...

    ખંભાત બાદ હવે હિંમતનગરમાં ચાલ્યું ‘દાદાનું બુલડોઝર’ : રામનવમીના દિવસે મુસ્લિમ ભીડે શોભાયાત્રા પર કર્યો હતો હુમલો

    હિંમતનગરમાં રામનવમીના દિવસે થયેલા હુમલાઓ બાદ જ્યાંથી આ હુમલાઓ થયા હતા ત્યાંના ગેરકાયદેસરના દબાણો દુર કરવામ આવ્યા છે. નગરપાલિકાએ કહ્યું છે કે આ કાર્યવાહીને રામનવમીના દિવસે બનેલી ઘટના સાથે કોઈ સબંધ નથી.

    - Advertisement -

    રામનવમીના દિવસે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસા થયા બાદ મધ્યપ્રદેશમાં પથ્થરબાજોના ગેરકાયદેસર દબાણ પર ‘મામાના બુલડોઝર’ ફરી વળ્યા હતા. જે બાદ ગુજરાતમાં પણ આવી કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી હતી. ગુજરાત સરકારે અગાઉ ખંભાતમાં આરોપીઓના ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ હવે હિંમતનગરમાં ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો તેને જોઇને કેટલાકે જાતે જ દબાણો દૂર કરવાના શરૂ કરી દીધા હતા.

    હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના છાપરિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં પાક્કા તેમજ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. તેમજ આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો તો જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ખડેપગે હાજર રહ્યા હતા.

    તસવીર સાભાર: ગુજરાત મિત્ર

    દબાણ હટાવવાની કામગીરી પહેલા હિંમતનગર સ્થિત કસબા જમાતને નોટીસ પાઠવવામાં આવી હતી. નોટીસમાં ટાઉન પ્લાનિંગ એક્ટનો હવાલો આપીને દબાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું અને જો ચોક્કસ મુદતમાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા જાતે જ દબાણ દૂર કરીને કબજો મેળવી લેશે તેમ પણ જણાવ્યું હતું.

    - Advertisement -

    જે બાદ આજે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સ્થાનિક તંત્રે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દબાણો હટાવ્યાં હતાં. તો ક્યાંક કેટલાક લોકોએ પાલિકા કામગીરી શરૂ કરે તે પહેલાં જ ગેરકાયદે દબાણ હટાવવાનું જાતે જ શરૂ કરી દીધું હતું.

    કાર્યવાહીને રામનવમીની ઘટના સાથે કોઈ સબંધ નહીં : પાલિકા

    હિંમતનગર નગરપાલિકાએ કહ્યું છે કે આ કાર્યવાહીને રામનવમીના દિવસે બનેલી ઘટના સાથે કોઈ સબંધ નથી. પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, “અહીંના દબાણો મામલે અગાઉ પણ નોટીસ આપવામાં આવી ચૂકી છે. હું રજા પર ન હોત તો કામ વહેલું શરૂ થઇ ચૂક્યું હોત. હાલ ત્રણ મીટર રસ્તો પહોળો કરવા માટે બે-ત્રણ દબાણ હટાવવામાં આવશે. જે બાદ પણ અન્ય અધિકારીઓના સૂચન અને નિર્ણય પ્રમાણે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.”

    ‘મુસ્લિમોએ પથ્થરો અને દંડાઓ વડે હુમલો કર્યો હતો’

    અહીં ઉલ્લેખનીય છે કે રામનવમીના દિવસે ગુજરાતના ખંભાત અને હિંમતનગર તેમજ મધ્યપ્રદેશના ખરગોનમાં મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો અને પ્રિ-પ્લાન્ડ હિંસાની ઘટનાઓ બની હતી.

    હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા અંગે રેલીના સંયોજકે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારી પર અચાનક જ હુમલો થયો છે. આ હુમલો મુસ્લિમો દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે પૂરેપૂરા આયોજન સાથે અમારી પર પથ્થરો અને ડંડાઓ વડે હુમલો કર્યો હતો. અમારી તરફથી કોઈ તૈયારી ન હતી. હિંમતનગર બજારમાં વચ્ચે કેટલાક મુસ્લિમોના ઘરો છે. આ બધું તેમના ઘરોમાંથી જ થયું છે. અમારી ગાડીઓ પણ સળગાવી દેવામાં આવી. પથ્થરમારામાં ઓછામાં ઓછા દસ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.” રામનવમીના દિવસની આ ઘટના બાદ ગેરકાયદેસર દબાણો પર ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં