Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અગ્નિપથ' યોજના અચાનક નથી આવી, કારગિલ સમિતિએ બે દાયકા પહેલા કરી હતી...

    ‘અગ્નિપથ’ યોજના અચાનક નથી આવી, કારગિલ સમિતિએ બે દાયકા પહેલા કરી હતી ભલામણઃ કહ્યું હતું- સેના હંમેશા યુવાન અને ફિટ હોવી જોઈએ

    માત્ર કારગીલ સમિતિ જ નહીં, ભારતીય સેનાએ પણ માનવશક્તિના ખર્ચને બચાવવા માટે અગ્નિપથ યોજના જેવી જ ભરતી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સેનાએ 2020માં 3 વર્ષ માટે યુવાનોની ભરતી કરવા માટે 'ટૂર ઓફ ડ્યુટી' યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

    - Advertisement -

    સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી ત્યારથી, આ યોજનાને મોટી સંખ્યામાં કહેવાતા લશ્કરી ઉમેદવારો અને વિરોધી રાજકીય પક્ષોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. હંમેશની જેમ, રાહુલ ગાંધીએ યોજનાની ટીકા કરી અને તેના વિરોધને ઉશ્કેર્યો છે. પરંતુ કારગિલ સમિતિ દ્વારા દાયકાઓ પહેલાથી આ ભલામણો કરાઇ હતી.

    સશસ્ત્ર દળોમાં ભરતીની આ નવી યોજના હેઠળ સૈનિકોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. આ સમયગાળાના અંતે, 25 ટકા અગ્નિવીરોને સૈન્યમાં કાયમી કરવામાં આવશે, જ્યારે બાકીનાને અન્ય સશસ્ત્ર દળો, મંત્રાલયો, રાજ્ય સરકાર અને પોલીસ અને પીએસયુમાં નોકરી માટે અરજી કરવામાં પ્રાધાન્ય મળશે. આ અગ્નિવીરોને એક વખતના ‘સેવા નિધિ’ પેકેજ તરીકે ₹11.71 લાખની રકમ ચૂકવવામાં આવશે.

    આને ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કહેવામાં આવ્યું છે. તે જ સમયે, સૈનિક બનવાની ઈચ્છા ધરાવતા કેટલાક યુવાનો હાલની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવાની માંગ સાથે ટ્રેનો સળગાવી રહ્યા છે. બીજી તરફ વિપક્ષી દળો અને સેનાના કેટલાક દિગ્ગજોએ પણ આ યોજનાની ટીકા કરી છે.

    - Advertisement -

    જો કે, બે દાયકા પહેલા કારગીલ સમીક્ષા સમિતિ દ્વારા રજૂ થયેલ અહેવાલમાં સૈનિકો માટે આવી ટૂંકી સેવા સૂચવવામાં આવી હતી. કારગિલ યુદ્ધના કારણે ઘટનાક્રમનો અભ્યાસ કરવા અને ભલામણો કરવા માટે રચાયેલી સમિતિએ દેશના સંરક્ષણને સુધારવા માટે અનેક સૂચનો કર્યા હતા. તેમાંથી કેટલાક પહેલાથી જ અમલમાં મુકાયા ચૂક્યા છે.

    કારગિલ સમિતિ દ્વારા થયેલ મુખ્ય ભલામણોમાંની એક સૈનિકોની સરેરાશ ઉંમર ઘટાડવાની હતી, કારણ કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેના દરેક સમયે યુવાન અને ફિટ રહેવી જોઈએ. સમિતિએ સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને કેન્દ્રીય પોલીસ દળો માટે સંકલિત માનવશક્તિ નીતિની પણ ભલામણ કરી હતી.

    કારગીલ સમીક્ષા સમિતિની ભલામણ

    કારગિલ સમિતિ દ્વારા અવલોકન થયું હતું કે, “દેશ સામે પ્રોક્સી વોર અને મોટા પાયે આતંકવાદની નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અર્ધલશ્કરી દળોની ભૂમિકા અને કાર્યોની પુનઃરચના કરવી જોઈએ, ખાસ કરીને આદેશ, નિયંત્રણ અને નેતૃત્વના સંદર્ભમાં. તેઓને કામગીરીના ઉચ્ચ ધોરણો અને આતંકવાદી જોખમોનો સામનો કરવા માટે વધુ સારી રીતે સજ્જ કરવાની જરૂર છે. સશસ્ત્ર દળો, અર્ધ-લશ્કરી દળો અને કેન્દ્રીય પોલીસ દળો માટે સંકલિત માનવશક્તિની નીતિ અપનાવવાની શક્યતા તપાસવી જોઈએ.”

    રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “સેનાએ દરેક સમયે યુવાન અને ફિટ રહેવું જોઈએ. તેથી, 17 વર્ષની સેવાની હાલની પ્રથાને બદલે (જેમ કે 1976 થી નીતિ છે), સેવાને ઘટાડીને સાતથી દસ વર્ષનો સમયગાળો કરવાની સલાહ આપવામાં આવશે. આ પછી અધિકારીઓ અને જવાનોને દેશના અર્ધલશ્કરી દળોમાં સેવા આપવા માટે મુક્ત કરવામાં આવે.”

    કારગિલ યુદ્ધ પછી રચાયેલી સમિતિએ સૂચન કર્યું હતું કે સેવાની મુદત પૂરી થયા પછી તેમને નિયમિત પોલીસ દળોમાં લઈ જઈ શકાય અથવા કલમ 5 IA (d) હેઠળ ‘નેશનલ સર્વિસ કોર્પ્સ’ (અથવા રાષ્ટ્રીય સુરક્ષા કોર્પ્સ)માં સામેલ કરી શકાય. જે જમીન અને જળ સંરક્ષણ અને ભૌતિક અને સામાજિક માળખાકીય વિકાસની શ્રેણી તરફ દોરી જશે.

    સમિતિએ અવલોકન કર્યું કે આનાથી સેના અને અર્ધ-લશ્કરી દળોની સરેરાશ ઉંમર ઘટશે અને પેન્શન ખર્ચમાં પણ ઘટાડો થશે. આ સાથે, અન્ય હક્કો, જેમ કે વિવાહિત સૈનિકો માટેના ક્વાર્ટર અને શૈક્ષણિક સુવિધાઓ પરનો ખર્ચ પણ ઘટશે.

    સમિતિને લાગ્યું કે 1999-2000માં આર્મીનું ₹6,932 કરોડનું પેન્શન બિલ કુલ વેતન બિલના લગભગ બે તૃતીયાંશ હતું અને દર વર્ષે ઝડપથી વધી રહ્યું હતું. આ વર્ષના બજેટમાં સંરક્ષણ માટે ₹5.25 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાંથી ₹1,19,696 કરોડ એકલા પેન્શન માટે ફાળવવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે સંરક્ષણ બજેટનો લગભગ 25% માત્ર પેન્શનની ચુકવણી માટે ખર્ચવામાં આવે છે. વન રેન્ક વન પેન્શન (OROP) યોજના લાગુ થયા બાદ સેનાના પેન્શનમાં ઝડપથી વધારો થયો છે.

    પેન્શન પર ખર્ચવામાં આવેલી આટલી મોટી રકમનો અર્થ એ છે કે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે વધુ રકમ બાકી નથી. આ આધુનિક શસ્ત્રો અને સાધનોની પ્રણાલીની ખરીદીને અસર કરે છે. સંરક્ષણ ક્ષેત્રને બજેટ ફાળવણીનો મોટો હિસ્સો પહેલેથી જ મળે છે અને તેનો હિસ્સો વધારવાની શક્યતા ઓછી છે. જ્યારે કેટલાક નિષ્ણાતો સંરક્ષણ માટે બજેટ ફાળવણી વધારવાનું સૂચન કરે છે, કારગિલ સમિતિએ તેની વિરુદ્ધ સૂચન કર્યું હતું.

    બજેટની મર્યાદાઓએ આધુનિકીકરણની પ્રક્રિયાને અસર કરી છે અને કેટલાક ઓપરેશનલ અવકાશ સર્જ્યા હોવાનું નોંધીને સમિતિએ કહ્યું હતું કે સંરક્ષણ ફાળવણી વધારવી જોઈએ નહીં. તેના બદલે, સરકારે આધુનિકીકરણ પર ખર્ચ વધારવાનો બીજો રસ્તો શોધવો જોઈએ. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “સમિતિ સંરક્ષણ ક્ષેત્રને જીડીપીની કોઈપણ ટકાવારી ફાળવવાની હિમાયત કરવા માંગતી નથી. સંબંધિત વિભાગો અને સંરક્ષણ સેવાઓ સાથે પરામર્શ કરીને નક્કી કરવાનું સરકાર પર છોડવું જોઈએ.”

    અગ્નિપથ યોજના આ ભલામણોનો અમલ કરે છે

    આ યોજના હેઠળ 17.5 વર્ષથી 21 વર્ષની વયના ઉમેદવારોને અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવશે. તેઓ માત્ર 4 વર્ષ માટે કામ કરશે, તેથી અગ્નિવીરની મહત્તમ ઉંમર 25 વર્ષ હશે. આમ, સૈનિકો તેમના સમગ્ર સેવા જીવન દરમિયાન યુવાન અને ફિટ રહેશે.

    અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરાયેલા 25% અગ્નિપથને નિયમિત કમિશનમાં સામેલ કરવામાં આવશે અને તેમને ઉચ્ચ હોદ્દા પર બઢતી આપવામાં આવશે. બાકીના 75% ને સરકારી અને PSU નોકરીઓમાં પ્રાધાન્ય આપવામાં આવશે. તેમાં રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં ભરતીનો પણ સમાવેશ થાય છે. પોલીસ દળોમાં કામ કરતા આર્મી પ્રશિક્ષિત યુવાનો ચોક્કસપણે પોલીસ અને અર્ધલશ્કરી દળોની ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરશે.

    રાજ્ય અને કેન્દ્રીય પોલીસ દળો ઉપરાંત, નિવૃત્ત અગ્નિવીર કેન્દ્ર અને રાજ્ય આપત્તિ દળોના મૂલ્યવાન માનવબળ હશે. સમાન નોકરીઓ માટે શારીરિક તંદુરસ્તીની જરૂર પડશે. તેથી, જ્યારે 75% યુવાનો 4 વર્ષની સેવા પછી સેના છોડી દે છે, ત્યારે તેમના માટે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગાર ઉપલબ્ધ થશે.

    અગ્નિપથ યોજના વધતા સૈન્ય પેન્શન પર રોક લગાવવામાં મદદ કરશે, કારણ કે અગ્નિવીરને તેની સેવા સમાપ્ત થયા પછી પેન્શન ચૂકવવામાં આવશે નહીં. દર વર્ષે લગભગ 45,000 થી 50,000 અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. તેનાથી સેનાને પેન્શન પેમેન્ટમાં બચત થશે.

    આ તમામની ભલામણ કારગિલ સમિતિ દ્વારા બે દાયકા કરતાં વધુ સમય પહેલાં કરાઇ હતી. જોકે, આ બે દાયકામાં જે સરકારો આવી તેણે ક્યારેય તેનો અમલ કરવાનો પ્રયાસ કર્યો નથી.

    સેનાએ ત્રણ વર્ષની ભરતી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો

    માત્ર કારગીલ સમિતિ જ નહીં, ભારતીય સેનાએ પણ માનવશક્તિના ખર્ચને બચાવવા માટે અગ્નિપથ યોજના જેવી જ ભરતી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સેનાએ 2020માં 3 વર્ષ માટે યુવાનોની ભરતી કરવા માટે ‘ટૂર ઓફ ડ્યુટી’ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હાલની યોજનામાં આ પ્રસ્તાવ સાથે ઘણી સામ્યતાઓ છે. જોકે, સેના દ્વારા રજૂ કરાયેલી સ્કીમમાં સેવાનો સમયગાળો 4 વર્ષની જગ્યાએ 3 વર્ષ નક્કી કરવામાં આવ્યો હતો.

    આર્મીએ હાલમાં 17 વર્ષના સેવા સમયગાળાને બદલે ત્રણ વર્ષ માટે સૈનિકોને નોકરી આપીને નોંધપાત્ર નાણાંકીય બચતની ગણતરી કરી હતી. સેનાએ કહ્યું હતું કે આ પૈસાનો ઉપયોગ સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે થઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં