Wednesday, March 12, 2025
More

    ‘વિદેશી આક્રાંતાઓનું મહિમામંડન બંધ કરો, સંભલ જેવા સત્ય સામે આવશે તો…’ CM યોગીની કટ્ટરપંથીઓને સલાહ, કહ્યું- ઇસ્લામ કરતાં પણ જૂનું છે સંભલ

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) એક ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશી આક્રાંતાઓના મહિમામંડન પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણેચેતવણી આપતા કહ્યું કે, વિદેશી આક્રાંતાઓનું મહિમામંડન બંધ કરો, નહીં તો સંભલ જેવા સત્ય સામે આવશે ત્યારે ચહેરો દેખાડવા જેવા નહીં રહો. CM યોગી આદિત્યનાથે ફરી એકવાર સંભલના મુદ્દા દ્વારા આ પ્રકારની રાજનીતિ કરનારાઓને સીધી ચેતવણી આપી છે.

    CM યોગીએ કહ્યું હતું કે, “વિદેશી આક્રમણકારોનું મહિમામંડન બંધ થવું જોઈએ. નહીંતર, સંભલ જેવા 10 કેસ આવશે અને તેઓ કોઈને મોઢું દેખાડવા લાયક નહીં રહે.” તેમણે વધુમાં કહ્યું કે, “અમારામાં બધાને સાથે લઈને ચાલવાની ભાવના છે.” તેમણે સંભલને આસ્થાનું કેન્દ્ર ગણાવ્યું હતું.

    CM યોગીએ કહ્યું કે, “સંભલ એક સત્ય છે. હું યોગી છું અને દરેક સંપ્રદાયનો આદર કરું છું. પરંતુ, જો કોઈ બળજબરીથી કોઈ સ્થાન પર કબજો કરે અને કોઈની અસ્થાનો નાશ કરે તો તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સંભલ એક તીર્થસ્થળ રહ્યું છે. ત્યાં 68 મંદિરો હતા અને અમે અત્યાર સુધી ફક્ત 18 જ શોધી શક્યા છીએ. 56 વર્ષ પછી સંભલના શિવ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો.”

    તેમણે વધુમાં કહ્યું કે “સંભલ ઇસ્લામ કરતાં પણ જૂનું છે. ઇસ્લામ 1400 વર્ષ જૂનો છે પણ સંભલનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. પુરાણોની રચના 5000થી 3500 વર્ષ પહેલાં થઈ હતી. તેમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુના દસમા અવતાર કલ્કિના સંભલમાં આગમનનો ઉલ્લેખ છે. આ હકીકતો આપણી સામે છે.” તેમણે મુઘલ આક્રમણકારો દ્વારા મંદિરોના વિનાશની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો.

    CM યોગીએ કહ્યું કે, મુઘલ આક્રમણકારો વતી મીર બાકીએ પ્રદેશના મંદિરોને તોડી પાડવાનું કામ કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, 1526માં સંભલમાં શ્રીહરિ વિષ્ણુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 1528માં અયોધ્યામાં રામ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ ગુનો મુઘલ આક્રમણખોર અમીર બાકીએ કર્યો હતો.