Friday, May 23, 2025
More

    ટ્રમ્પ, પુતિન, મેલોની… રાષ્ટ્રાધ્યક્ષોએ કરી પહલગામ આતંકવાદી હુમલાની નિંદા, પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે થશે ટેલિફોનિક વાતચીત

    કાશ્મીરના પહલગામમાં થયેલા ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ દુનિયારભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વિશ્વના અનેક દેશોના વડાઓએ આ ઘટનાની ટીકા કરી છે અને ભારત અને ભારતીયો સાથે ઊભા રહેવાની વાત કરી છે. 

    સૌથી પહેલો સંદેશો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાઠવ્યો. તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલેલા પત્રમાં આતંકવાદી હુમલાની ટીકા કરીને સાંત્વના પાઠવીને લખ્યું કે, આ ઘૃણાસ્પદ કૃત્ય કોઈ કાળે સ્વીકાર્ય ન હોય શકે અને અમે આશા રાખીએ છીએ કે તેની પાછળ જેમની ભૂમિકા છે તેઓ તેની સજા ભોગવે એવાં પગલાં લેવામાં આવે. સાથે તેમણે આતંકવાદ સામે લડવામાં ભારત સાથે મજબૂતીથી ઊભા રહેવાની વાત કરી અને મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તોને સાંત્વના પણ પાઠવી. 

    ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ કરી. ટ્રમ્પે લખ્યું કે, ‘કાશ્મીરમાંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આતંકવાદ સામે લડવામાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારતની સાથે મજબૂતીથી ઊભું છે. જેઓ મૃત્યુ પામ્યા છે તેમની સદગતિ માટે પ્રાર્થના, જેઓ ઈજા પામ્યા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય. વડાપ્રધાન મોદી, ભારતના લોકો– તેમની સાથે અમારી સહાનુભૂતિ છે, પૂરેપૂરું સમર્થન છે. અમે તમારી સાથે છીએ.”

    સમાચાર છે કે ટૂંક સમયમાં પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફોન પર વાતચીત પણ કરશે. વ્હાઇટ હાઉસે આ બાબતની પુષ્ટિ કરી છે. 

    આ સિવાય UAEએ પણ ઘટનાની નિંદા કરી અને આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી નાખવા માટે સહમતિ દર્શાવી. 

    ઇટલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ એક પોસ્ટમાં આતંકવાદી હુમલાની ટીકા કરી અને ભારત સરકાર અને નાગરિકોને સાંત્વના પાઠવી. તેમણે કહ્યું કે તેઓ ભારત સાથે છે.