Saturday, May 17, 2025
More

    બંગાળના રાજ્યપાલ લેશે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, BSFની તૈનાતીનો સમયગાળો પણ વધારાયો: મુર્શિદાબાદથી તાજા ઘટનાક્રમ

    પશ્ચિમ બંગાળમાં (West Bengal) વક્ફ (સંશોધન) અધિનિયમ 2025ના વિરોધમાં ફાટી નીકળેલી હિંદુવિરોધી હિંસાને પગલે રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝ (CV Anand Bose) હિંસાગ્રસ્ત વિસ્તારો, ખાસ કરીને મુર્શિદાબાદ (Murshidabad) જિલ્લાની મુલાકાત લેવા જઈ રહ્યા છે. આ હિંસામાં ત્રણ લોકોનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા બોર્ડર સિક્યુરિટી ફોર્સની (BSF) તહેનાતીનો સમયગાળો વધારવામાં આવ્યો છે.

    પત્રકારો સાથે વાત કરતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કહ્યું કે, “હું ખરેખર શું થયું છે તે જોવા માટે ગ્રાઉન્ડ પર જઈ રહ્યો છું. હું કેટલાક પીડિતોને પણ મળીશ. આ ખૂબ જ ભાવનાત્મક મુદ્દો છે, અને હું પરિવારોની લાગણીઓ સમજી શકું છું.”

    તેમણે ભારતીય રેડ ક્રોસ સોસાયટી (IRCS) ને મુર્શિદાબાદ, માલદા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. IRCSના અધ્યક્ષ ડૉ. એસ. કે. પટ્ટનાયક અને રાજભવનના રેપિડ એક્શન સેલના મુખ્ય નોડલ અધિકારી સંદીપ રાજપૂતને રાહત કાર્યોની દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    આ ઉપરાંત 17 એપ્રિલે કલકત્તા હાઇકોર્ટે પણ નિર્દેશ આપ્યો છે કે હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાં ખાસ કરીને મુર્શિદાબાદમાં કેન્દ્રીય બળો હજી તૈનાત રહેશે. નોંધનીય છે કે હાલમાં 9 BSF કંપનીઓ અને 8 CRPF કંપનીઓ સુતી, સમસેરગંજ અને જંગીપુર જેવા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત છે.