Friday, April 18, 2025
More

    ભાજપ દેશભરમાં ચલાવશે ‘વક્ફ સુધારા જાગૃતિ અભિયાન’: 20 એપ્રિલથી થશે શરૂ, વિરોધીઓના એજન્ડાઓને કરશે નાકામ

    કેન્દ્ર સરકારે વક્ફ (સુધારા) અધિનિયમ, 2025ને કાયદા તરીકે પ્રસ્થાપિત કરી દીધો છે. હવે શાસક ભારતીય જનતા પાર્ટીએ (BJP) કાયદા વિશે ખોટી માહિતી ફેલાવી રહેલા વિપક્ષી પક્ષોને જવાબ આપવા માટે 20 એપ્રિલથી 20 મે સુધી રાષ્ટ્રવ્યાપી ‘વક્ફ સુધારા જાગૃતિ અભિયાન’ (Waqf Reforms Awareness Campaign) શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

    ગુરુવારે પાર્ટીના મુખ્યાલય પર ભાજપના મોટા નેતાઓની એક રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ વર્કશોપમાં વક્ફ (સુધારા) કાયદાની વિગતવાર સમજૂતી આપી અને 8 એપ્રિલથી અમલમાં આવેલા નવા વક્ફ કાયદા અંગે કેવી રીતે ઝુંબેશ ચલાવવી તે અંગે સભ્યોને શિક્ષિત કર્યા હતા.

    વર્કશોપમાં, નડ્ડાએ જણાવ્યું હતું કે, “વક્ફ કાયદા પર વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓને દૂર કરો. વિપક્ષના તુષ્ટિકરણના રાજકારણ હેઠળ તેના પરના ભ્રામક વલણને ઉજાગર કરવા માટે મુસ્લિમોને તથ્યોથી વાકેફ કરવા જોઈએ.”

    ભાજપ આ ઝુંબેશને મુસ્લિમ સમુદાય સુધી પહોંચ મજબૂત બનાવવાના વ્યૂહાત્મક પગલા તરીકે પણ જુએ છે, ખાસ કરીને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા. વક્ફ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો અંગે જાગૃતિ ફેલાવીને અને સ્પષ્ટતા કરીને, ભાજપનો ઉદ્દેશ્ય વિપક્ષના વાણી-વર્તનનો સામનો કરવાનો અને મુસ્લિમ મતદારોનો વિશ્વાસ જીતવાનો છે.

    આ પહેલ દ્વારા, ભાજપ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે વક્ફ સુધારાઓ વિશેનું સત્ય પાયાના સ્તરે પહોંચે અને દરેક મુસ્લિમ નાગરિકને આ ફેરફારો સમુદાયને કેવી રીતે સશક્ત અને ઉત્થાન આપશે તે અંગે માહિતગાર કરવામાં આવે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે (5 એપ્રિલ) વક્ફ (સુધારા) બિલ, ૨૦૨૫ ને પોતાની સંમતિ આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરી પછી, તે કાયદો બનીને હાલ દેશમાં લાગુ થઈ ચૂક્યો છે.