Tuesday, March 18, 2025
More

    વૃંદાવન પ્રેમ મંદિરના સ્થાપક જગદગુરુ કૃપાળુ મહારાજની દિકરીઓને નડ્યો અકસ્માત: એકનું મોત, 2 ઘાયલ

    મથુરાના પ્રેમ મંદિર (Prem Mandir in Vrindavan) અને કુંડા ભક્તિધામ માનગઢના સ્થાપક જગદગુરુ કૃપાલુ મહારાજની (Jagadguru Shri Kripalu Maharaj) ત્રણ પુત્રીઓ એક મોટી દુર્ઘટનાનો શિકાર બની હતી. શનિવારે (23 નવેમ્બર 2024) રાત્રે યમુના એક્સપ્રેસ વે પર દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર એક કેન્ટર પલટી (Car Accident) ગયું હતું. કૃપાલુ મહારાજની મોટી પુત્રી, ડૉ. વિશાખા ત્રિપાઠી, 72,નું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે પુત્રીઓ, ડૉ. ક્રિષ્ના, 68, અને ડૉ. શ્યામા, 66, ઘાયલ થઈ હતી.

    આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોને પણ ઈજા થઈ હતી. તમામ ઘાયલોની દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ માનગઢ આશ્રમમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.

    ડૉ. વિશાખાના પાર્થિવ દેહને વૃંદાવનના પ્રેમ મંદિરમાં લાવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર સોમવારે (25 નવેમ્બર 2024) યમુના કિનારે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કૃપાલુ મહારાજનું પણ 15 વર્ષ પહેલા એક અકસ્માત બાદ અવસાન થયું હતું. કૃપાલુ મહારાજના લાખો અનુયાયીઓ છે અને આ ઘટનાથી તેમના તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.