Thursday, May 1, 2025
More

    ‘આતંકવાદ વિરુદ્ધ US ભારતની સાથે’: અમેરિકી સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ એસ જયશંકર સાથે કરી વાત, પહલગામ આતંકી હુમલાની કરી ટીકા

    અમેરિકી સ્ટેટ સેક્રેટરી (US Secretary of State) માર્કો રુબિયોએ (Marco Rubio) દેશના વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) સાથે વાત કરી છે અને આતંકવાદ (Terrorism) વિરુદ્ધ અમેરિકાની ભાગીદારીને પણ દર્શાવી છે. તેમણે આતંકવાદ વિરુદ્ધ ભારતના સહયોગની અમેરિકાની પ્રતિબદ્ધતાની પણ પુષ્ટિ કરી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે એક નિવેદન પણ જાહેર કર્યું છે.

    તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે, “પહલગામ થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા રુબિયોએ ભારત સાથે વાત કરી છે.” આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, દક્ષિણ એશિયામાં તણાવ ઓછો કરવા અને શાંતિ તથા સુરક્ષા જાળવી રાખવાના પ્રયાસો વિશે પણ વાત કરવામાં આવી છે.

    દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને અમેરિકી વિદેશ મંત્રી સાથે વાત થઈ હોવાની માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કરીને કહ્યું હતું કે, “કાલે અમેરિકાના માર્કો રુબિયો સાથે પહલગામ આતંકી હુમલા પર ચર્ચા થઈ. તેના ગુનેગારો, સમર્થકો અને યોજનાકારોને ન્યાયના કઠેરામાં લાવવામાં આવવા જરૂરી છે.”