Tuesday, May 13, 2025
More

    ગણતંત્ર દિવસની પરેડમાં ‘મહાકુંભ’ને સ્થાન, ગુજરાતની ઝાંકીમાં જોવા મળ્યું ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’

    આજે દેશ આખામાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સવારે કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો અને 21 તોપોની સલામી આપવામાં આવી. બીજી તરફ દેશની સેનાએ પોતાનું બળ દેખાડ્યું, તો વિવિધ રાજ્યોના ટેબ્લોમાં સાંસ્કૃતિક અને આધુનિક કલ્ચરનો સંગમ જોવા મળ્યો. જોકે આ ઝાંકીઓમાં ઉત્તર પ્રદેશનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો.

    ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં આ વખતે મહાકુંભના દર્શન થયા. ટેબ્લોમાં ઉપર દેવો અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથન કથાનાં દ્રશ્યોની પ્રતિકૃતિ બનાવવામાં આવી, તો તેની આગળની તરફ અમૃત કુંભ પણ જોવા મળ્યો. ઝાંકીમાં દેવતાઓ ઉપરાંત ઋષિમુનીઓ અને સંતોની પ્રતિકૃતિઓ પણ જોવા મળી. આ પહેલી વાર છે, જ્યારે કર્તવ્ય પથની પરેડમાં મહાકુંભનો ટેબ્લો રાખવામાં આવ્યો હોય.

    પરેડમાં ગુજરાતનો ટેબ્લો પણ જોવા મળ્યો. ગુજરાતના ટેબ્લોમાં સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી, C-95 વિમાન નિર્માણની પ્રતિકૃતિ, ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વેગેરેની ઝાંકી બનાવવામાં આવી હતી, સાથે જ આ ઝાંકીની થીમ ‘અનંતપુરથી એકતા નગર’ રાખવામાં આવી હતી અને ‘વિરાસત ભી, વિકાસ ભી’ તેની ટેગલાઈન છે. જયારે કર્તવ્ય પથ પર ગુજરાતનો ટેબ્લો પસાર થઈ રહ્યો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.

    નોંધનીય છે કે આ સિવાય કર્તવ્ય પથ પર અનેક રાજ્યોની ઝાંકીઓ પ્રદર્શિત કરવામાં આવી. પરેડ બાદ રાષ્ટ્રગીત સાથે વિશેષ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. આ વર્ષે ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો ભારતના મહેમાન બન્યા હતા.