લખનૌમાં યુપી ATSના (Uttar Pradesh ATS) મુરાદાબાદ યુનિટે આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મના માધ્યમથી રાષ્ટ્રવિરોધી માહિતી ફેલાવવાનો અને યુવાનોને આત્મઘાતી હુમલા કરવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ કેસમાં રવિવાર રાત્રે (20 એપ્રિલ 2025) ATSએ FIRને કારણે તપાસ શરૂ કરી હતી. ATS અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જૂથ સિગ્નલ (અલ-મૌત-ઉલ-હિંદ નામથી), ઇન્સ્ટાગ્રામ (ગ્રીન બર્ડ્સ), ડિસ્કોર્ડ (સ્ટ્રેન્જર્સ) અને વોટ્સએપ પર સક્રિય હતું, જ્યાં તેઓ જેહાદી સામગ્રી શેર કરતા હતા અને ભારતીય સુરક્ષા દળો પર હુમલાઓને પ્રોત્સાહન આપતા હતા.
ATSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક માહિતી અનુસાર, આરોપીઓનું એક મોટું નેટવર્ક છે જે ભારત સરકાર સામે પ્રોક્સી યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું. તેમનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક તણાવ વધારવાનો અને સંવેદનશીલ લક્ષ્યો પર હુમલો કરવાનો હતો.”
આ સિવાય ભારતમાં સ્થિત હિંદુ નેતાઓ અને ઇઝરાયલી સંસ્થાઓને પણ નિશાન બનાવવાની યોજનાઓ બનાવવામાં આવી રહી હતી. ATS અનુસાર 17 એપ્રિલના રોજ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સંભલના 2 અને પટનાના એકનો સમાવેશ થાય છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.