22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે થયેલ આતંકી હુમલાની (Pahalgam Terrorist Attack) જવાબદારી લશ્કર-એ-તૈયબાની જ એક શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે (TRF) લીધી હતી. હવે તાજેતરમાં એક નિવેદન બહાર પાડીને TRFએ હવે ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેમનું ડિજિટલ પ્લેટફોર્મ હેક થયું હતું, અને જવાબદારી સ્વીકારતો સંદેશ પ્રસારિત થયો હતો એ ખોટો હતો.
TRFએ પહેલગામ ઘટનામાં કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. આતંકવાદી જૂથે બેશરમીથી એક નિવેદન બહાર પાડીને કહ્યું, “આ કૃત્ય માટે TRFને દોષી ઠેરવવું ખોટું અને ઉતાવળિયું પગલું છે.” આતંકવાદી સંગઠને વધુમાં જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પછી તરત જ તેના એક ડિજિટલ પ્લેટફોર્મ પરથી જવાબદારી સ્વીકારતો ‘અનધિકૃત’ સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

તેણે કહ્યું હતું કે, “આંતરિક ઓડિટ પછી અમારી પાસે એવું માનવાનું કારણ છે કે આ એક સંકલિત હેકિંગનું પરિણામ હતું. અમે તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.” લોકો હવે કહી રહ્યા છે કે આતંકવાદી સંગઠનોમાં પણ આંતરિક ઓડિટ થાય એ અચરજની વાત છે.
નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે 2023માં પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા, આતંકવાદીઓની ભરતી કરવા, ઘૂસણખોરીને સરળ બનાવવા અને શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવા બદલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ TRFને ‘આતંકવાદી સંગઠન’ ઘોષિત કર્યું છે.