જમ્મુ અને કાશ્મીરના (Jammu-Kashmir) લેફ્ટનન્ટ ગવર્નર (LG) મનોજ સિન્હાએ ત્રણ સરકારી કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. આ ત્રણ સરકારી કર્મચારીઓ પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તેમની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ ફિરદોસ અહેમદ ભટ્ટ, શિક્ષક મોહમ્મદ અશરફ ભટ્ટ અને વન વિભાગના કર્મચારી નિસાર અહેમદ ખાન તરીકે થઈ છે.
આ નિર્ણય ભારતીય બંધારણના અનુચ્છેદ 311 (2) (c) હેઠળ લેવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા કેસોમાં તપાસ વિના સરકારી કર્મચારીઓને બરતરફ કરવાની મંજૂરી આપે છે. લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ કહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને તેના સમર્થકો પર કડક કાર્યવાહી કરવા માટે આ કાર્યવાહી જરૂરી છે.
માહિતી અનુસાર, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 79 સરકારી કર્મચારીઓને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ બરતરફ કર્યા છે.