Wednesday, May 14, 2025
More

    ‘મારા ટુકડા કરી નાખો તોપણ નહીં સુધરે સ્થિતિ’: CM રેવંત રેડ્ડીએ સ્વીકાર્યું તેલંગાણાનું આર્થિક સંકટ, કહ્યું- રાજ્ય નાદારીની કગાર પર, કેન્દ્ર મદદ કરે

    તેલંગાણાના (Telangana) મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ (Revanth Reddy) રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે ગંભીર ચેતવણી આપતાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, “ભલે તમે મારા ટૂકડા કરી નાખો, હું એ હકીકત નકારી શકું નહીં કે તેલંગાણા નાદારીની અણી પર છે.”

    હૈદરાબાદમાં એક મીડિયા સંગઠનના કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો કે, રાજ્યને તેની જવાબદારીઓ પૂર્ણ કરવા માટે દર મહિને ₹22,500 કરોડની જરૂર છે પરંતુ તેઓ ફક્ત ₹18,500 કરોડ જ એકત્ર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે,”જો તમે મારા ટુકડા કરી નાખો તો પણ હું દર મહિને ₹18,500 કરોડથી વધુ એકત્ર કરી શકતો નથી.”

    રેવંત રેડ્ડીએ રાજ્યના વધતા દેવા અને નબળી નાણાકીય વ્યવસ્થાને આ સંકટનું મુખ્ય કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, “અગાઉની સરકારોની ખોટી નીતિઓ અને બેજવાબદાર નાણાકીય નિર્ણયોએ રાજ્યને આર્થિક ખાડામાં ધકેલી દીધું છે. આજે આપણે જે સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, તે દાયકાઓની નિષ્ફળતાનું પરિણામ છે.”

    તેમણે રાજ્યની આવક વધારવા, ખર્ચ પર નિયંત્રણ લાવવા અને નાણાકીય શિસ્ત અપનાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “આપણે આર્થિક સંકટને નજરઅંદાજ કરી શકીએ નહીં. જો હવે કડક પગલાં નહીં લેવાય, તો રાજ્યનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.”

    તેમણે કેન્દ્ર સરકાર પાસે નાણાકીય સહાયની માંગ કરી અને જનતાને આ મુશ્કેલ સમયમાં સહકાર આપવા અપીલ કરી. વિપક્ષે આ નિવેદનને લઈને સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે નાગરિકોમાં ચિંતાનો માહોલ છે.