Wednesday, May 14, 2025
More

    પહલગામ હુમલાના આતંકીઓ આદિલ અને આસિફ વિરુદ્ધ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી: અનંતનાગ અને પુલવામા સ્થિત બંને આતંકવાદીઓના ઘરો તોડી પડાયા, સામે આવ્યા વિડીયો

    જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલે થયેલા ઘાતક આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે સામે આવેલ અહેવાલ અનુસાર આ હુમલા સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકીઓ, આદિલ હુસૈન થોકર (Adil Husain Thokar) અને આસિફ શેખના (Asif Sheikh) ઘરો ધ્વસ્ત (Houses Demolished) કરવામાં આવ્યા છે.

    આ કાર્યવાહી અનંતનાગ અને પુલવામા જિલ્લામાં હાથ ધરવામાં આવી છે. આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. ત્યારપછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર એક આતંકી આદિલ હુસૈન થોકર, જે અનંતનાગ જિલ્લાના બિજબેહારા વિસ્તારમાં રહેતો હતો તેનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું,

    આદિલ હુસૈન થોકરને આદિલ ગુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહેવાલ અનુસાર, આદિલે 2018માં અટારી-વાઘા બોર્ડર દ્વારા કાયદેસર રીતે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેણે આતંકી તાલીમ લીધી હોવાનું મનાય છે. ગત વર્ષે તે ગુપ્ત રીતે જમ્મુ-કાશ્મીર પરત ફર્યો અને પહલગામ હુમલામાં પાકિસ્તાની આતંકીઓ માટે લોજિસ્ટિક્સ કોઓર્ડિનેટર તરીકે કામ કર્યું હતું.

    અનંતનાગ પોલીસે આદિલ સહિત ત્રણ લશ્કર-એ-તૈયબા આતંકીઓ હાશિમ મુસા અને અલી ભાઈની ધરપકડ માટે ₹20 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ ઉપરાંત સુરક્ષા દળોએ 3 આતંકીઓના સ્કેચ પણ જાહેર કર્યા હતા. આદિલ સિવાય પુલવામા જિલ્લાના અવંતીપોર વિસ્તારમાં ત્રાલના મોંઘામા ખાતે આસિફ શેખનું ઘર પણ સુરક્ષા દળોએ બ્લાસ્ટ કરીને તોડી પાડ્યું હતું.

    સુરક્ષા દળોમાં સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસનો સમાવેશ થાય છે. તેઓ સર્ચ ઓપરેશન દરમિયાન આસિફના ઘરે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, ઘરમાં વિસ્ફોટકો મળી આવ્યા, જેને નિષ્ક્રિય કરવા માટે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે આસિફ શેખનું ઘર પણ સંપૂર્ણ નાશ પામ્યું હતું.