પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનીઓ માટે વિઝા પર રોક લગાવીને તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ આપ્યો છે. આ જ આદેશ હેઠળ દેશ છોડવાની સૂચના મળતાં એક ઇસમે તેના પરિવારના છ સભ્યો વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની ઉપર કોર્ટે સુનાવણી કરીને તેને આંશિક રાહત આપીને હાલ પૂરતી પાકિસ્તાન મોકલવા પર રોક લગાવી છે અને તેનાં ડોક્યુમેન્ટની ખરાઈ કરવા માટે નિર્દેશ આપ્યા છે.
જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંઘની બેન્ચે અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, પ્રશાસન પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજોની ખરાઈ કરે. જોકે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ સમયસીમા આપી રહ્યા નથી પરંતુ આ પ્રક્રિયા થાય ત્યાં સુધી અરજદારો વિરુદ્ધ બીજી કોઈ કાર્યવાહી કરવમાં ન આવે.
અરજી વાસ્તવમાં અહેમદ તારેક બટ્ટ અને તેમના પાંચ પરિજનો દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે દાવો કર્યો કે તેમને ડિટેઇન કરીને વાઘા બોર્ડર પર લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવનાર હતા, પરંતુ તેમની પાસે ભારતના માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ છે.
કોર્ટે આ દસ્તાવેજોની ખરાઈ કરવા કહ્યું છે અને સાથે એમ પણ કહ્યું કે તેના આદેશથી સંતોષ ન થાય તો અરજદારો જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ જઈ શકે છે.