Thursday, May 22, 2025
More

    રાણા સાંગાને ગદ્દાર કહેનારા સપા સાંસદ પર હુમલાના અહેવાલ: અલીગઢમાં કાફલા પર ફેંકાયા ટાયર-પથ્થર, 5 ગાડીઓ અંદરોઅંદર ટકરાઈ

    રાણા સાંગાને ગદ્દાર કહેનારા સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રવિવારે (27 એપ્રિલ) અલીગઢમાં તેના કાફલા પર હુમલો થયો હતો. અલીગઢના ખેરેશ્વર ચોક પર ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપા સાંસદ વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા હતા.

    આ ઘટનાને લઈને કાફલાની ગાડીઓ સ્પીડમાં ભાગવા લાગી હતી. ત્યાંથી લગભગ 500 મીટર આગળ જઈને કાફલાની 5 ગાડીઓ અંદરોઅંદર જ ટકરાઈ ગઈ હતી. આ ઘટનામાં 6થી 7 લોકો ઘાયલ પણ થયા હતા. અહીંથી સાંસદનો કાફલો ફરી આગળ વધવા લાગ્યો હતો.

    ત્યારબાદ ગભાના ટોલ પ્લાઝાની આગળ કેટલાક યુવાનો અચાનક હાઈવે પર આવી ગયા હતા અને કાફલા પર ટાયર અને પથ્થરો ફેંકવા લાગ્યા હતા. હુમલા બાદ સમર્થકો અને પોલીસકર્મીઓએ રામજીલાલને સુરક્ષાના ઘેરામાં લઈ લીધા હતા. કરણી સેનાએ પહેલાં પણ ચેતવણી આપી હતી કે, સાંસદ પાસેથી જવાબ માંગવા માટે વિવિધ સ્થળોએ પ્રદર્શન થશે.