પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારતે (India) પાકિસ્તાન (Pakistan) સાથેની સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કરી દીધી હતી. હવે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, વર્લ્ડ બેન્કે (World Bank) આ મામલે હાથ અધ્ધર કરી દીધા છે અને હસ્તક્ષેપ નહીં કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં પાકિસ્તાની નેતાઓ કહી રહ્યા હતા હતા કે, ભારત એકતરફથી સંધિ સ્થગિત ન કરી શકે. કારણ કે, આ સંધિમાં વર્લ્ડ બેન્કે મધ્યસ્થી કરી હતી.
પરંતુ, હવે વર્લ્ડ બેન્કે પાકિસ્તાને ઝટકો આપતા સ્પષ્ટ કહ્યું છે કે, તે ભારતને તેનો નિર્ણય બદલવા માટે મજબૂર કરી શકે નહીં. વર્લ્ડ બેન્કના અધ્યક્ષ અજય બંગાએ કહ્યું છે કે, સંસ્થાની દ્વિપક્ષીય મુદ્દાઓ પર મધ્યસ્થ સિવાયની કોઈ ભૂમિકા નથી. ગુરુવારે (8 મે) અજય બંગાએ વડાપ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી.
વર્લ્ડ બેન્કના અધ્યક્ષે કહ્યું કે, “અમારે વિશેષજ્ઞો અથવા મધ્યસ્થોની ફીસ એક ટ્રસ્ટ ફંડને આપવાની છે, જેને સંધિના સમયે બેન્કમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. માત્ર આ જ અમારી ભૂમિકા છે. તે સિવાય અમારી કોઈ ભૂમિકા નથી. અમે કઈ કરી શકીએ નહીં.” જોકે, મીડિયામાં પણ અટકળો હતી કે, વર્લ્ડ બેન્ક આ મામલે વિવાદ ઉકેલશે, પરંતુ હવે તે થઈ શકે તેમ નથી.