Sunday, May 18, 2025
More

    ‘મુર્શિદાબાદ જેવી ઘટના હિંદુ-મુસ્લિમનો નહીં પણ કાયદો અને વ્યવસ્થાનો મામલો’: મહાકુંભની નાસભાગ માટે યોગીને જવાબદાર ગણાવનાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પશ્ચિમ બંગાળ મામલે સાધી ચુપ્પી

    તાજેતરમાં જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું (Avimukteshvaranand) મુર્શિદાબાદ હિંસા (Murshidabad Violence) મામલે એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું. આ નિવેદનના કારણે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ થઈ રહી છે.

    શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “મુર્શિદાબાદ જેવી ઘટનાઓમાં હિંદુ-મુસ્લિમનો કોઈ મુદ્દો નથી. આ કાયદો અને વ્યવસ્થા તેમજ હુલ્લડખોરો અને પીડિતોનો મામલો છે.” આ નિવેદનની ખૂબ ટીકા થઈ રહી છે.

    નેટીઝન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શંકરાચાર્યનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે, તેમણે અગાઉ જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં થયેલી મહાકુંભ ભાગદોડની ઘટના માટે યોગી આદિત્યનાથને જવાબદાર ગણાવ્યા હતા. આ ઘટનામાં 30 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા.

    તે સમયે શંકરાચાર્યએ યોગીની ટીકા કરીને તેમના રાજીનામાની માગણી કરી હતી. પરંતુ મુર્શિદાબાદ હિંસા અંગે તેમણે મમતા બેનર્જી સરકારની કોઈ ટીકા કરી નથી, કે કોઈ વિરોધ પણ કર્યો નથી. ઉપરથી જાણીજોઈને હિંદુઓની વિરોધમાં આચરવામાં આવેલી હિંસાને કાયદો અને વ્યવસ્થાનો મામલો ગણાવી દીધો છે.