જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી હવેથી હિંદુ ધર્મનો હિસ્સો નહીં ગણાય. શંકરાચાર્યે રાહુલ ગાંધીને સાર્વજનિક રીતે બહિષ્કૃત કરવાની ઘોષણા કરી છે. બદ્રીનાથ સ્થિત શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાત કરતા શંકરાચાર્યે આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિના સંદર્ભમાં જે નિવેદન આપ્યું હતું, તેનાથી સંપૂર્ણ સનાતન ધર્માવલંબીને ઠેસ પહોંચી છે. શંકરાચાર્યે કહ્યું કે, “રાહુલ ગાંધી સંસદમાં કહે છે કે, બળાત્કારીઓને બચાવવાનો ફોર્મ્યુલા બંધારણમાં નથી, પણ તમારી પુસ્તક એટલે કે મનુસ્મૃતિમાં લખ્યો છે.”
શંકરાચાર્યે વધુમાં કહ્યું કે, ત્રણ મહિના પહેલાં રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી હતી અને તેમને સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું કે, તેમણે જે વાત કહી છે તે મનુસ્મૃતિમાં કઈ જગ્યાએ લખી છે. પરંતુ આટલા લાંબા સમય સુધી રાહુલ ગાંધીએ કોઈ જવાબ આપ્યો નથી. આ સાથે જ રાહુલ ગાંધીએ ક્યારેય માફી પણ નથી માંગી.
શંકરાચાર્યે ઉમેર્યું કે, “જો કોઈ માણસ વારંવાર હિંદુ ધર્મગ્રંથોનું અપમાન કરે છે અને સ્પષ્ટતા આપવાથી પણ બચતો રહે છે તો તેને હિંદુ ધર્મમાં સ્થાન ન આપવું જોઈએ.” તેમણે સ્પષ્ટ કર્યું કે, હવે રાહુલ ગાંધીનો વિરોધ મંદિરોમાં પણ થવો જોઈએ અને પૂજારીઓને પણ નિર્દેશ છે કે, તેમની પૂજા ન કરે. તેઓ હવે પોતાને હિંદુ કહેવાના અધિકારી નથી.