Monday, May 5, 2025
More

    દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં AAP સાથે થઈ ગયો ખેલ, એકસાથે સાત ધારાસભ્યોનાં રાજીનામાં

    દિલ્હી વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોએ એક ઝાટકે રાજીનામાં ધરી દીધાં છે. 

    આ ધારાસભ્યોમાં ઋતિલોકપુરીના MLA રોહિત મહેરોલિયા, કસ્તુરબાનગરના ધારાસભ્ય મદનલાલ, જનકપુરીથી MLA રાજેશ ઋષિ, પાલમથી ધારાસભ્ય ભાવના ગૌર, બીજવાસનથી ધારાસભ્ય ભૂપિન્દર સિંઘ અને આદર્શ નગરથી ધારાસભ્ય પવન કુમાર શર્માનો સમાવેશ થાય છે. 

    આ સાતમાંથી છને આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી. જ્યારે અન્ય એક ધારાસભ્ય નરેશ યાદવને પાર્ટીએ પહેલાં ત્રીજી ટર્મ માટે ટિકિટ આપી હતી અને મહરૌલી વિધાનસભા બેઠક પરથી ઉતાર્યા હતા, પરંતુ એક બેઅદબીના કેસમાં આરોપો સિદ્ધ થયા બાદ તેમણે ટિકિટ પરત કરી દીધી હતી. ત્યારબાદ અન્ય નેતાને તક આપવામાં આવી. 

    તમામ MLAએ પોતાનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી રાજીનામા વિશે જાણકારી આપી છે, જેમાં તમામે પાર્ટી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે પાર્ટી વિચારધારાથી ભટકી ગઈ છે અને હવે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે. રાજેશ ઋષિએ કહ્યું કે, પાર્ટી ભરષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનું કેન્દ્ર બની ગઈ છે અને હવે નૈતિકતા ગુમાવી બેઠી છે.