Saturday, May 17, 2025
More

    ‘આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને પૂર્ણ સમર્થન’- રશિયન રાષ્ટ્રપતિ પુતિન: PM મોદી સાથે ટેલિફોનીક વાતચીતમાં પહલગામ હુમલાની કરી નિંદા

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની (Pahalgam Terrorist Attack) કડક નિંદા કરી છે અને ભારતને આતંકવાદ સામેની લડાઈમાં ‘સંપૂર્ણ સમર્થન’ જાહેર કર્યું છે. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા હતા.

    પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી અને આ ઘટનાને ‘નિર્દોષ નાગરિકોના જીવનનું નુકસાન’ ગણાવીને શોક વ્યક્ત કર્યો. તેમણે આ હુમલાને ‘અત્યંત નિંદનીય’ ગણાવ્યો અને જણાવ્યું કે આ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડા સુધી લાવવા જોઈએ.

    આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનની સંડોવણીનો આરોપ લગાવ્યો છે, જેને પાકિસ્તાને નકારી કાઢ્યો છે. રશિયાએ આ સંદર્ભે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય અને રાજનૈતિક ઉકેલ લાવવા માટે મધ્યસ્થીની ઓફર પણ કરી છે, પરંતુ તે બંને દેશોની પરસ્પર ઈચ્છા પર આધારિત છે.

    પુતિને આ પહેલાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને PM મોદીને શોકસંદેશ મોકલીને આ ઘટનાને ‘ક્રૂર અપરાધ’ ગણાવ્યો હતો. તેમનું આ સમર્થન એક બંધ બારણે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક પહેલાં આવ્યું છે, જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ચર્ચા થવાની છે.

    નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ હુમલાની નિંદા કરી છે. જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નકાતાનીએ ભારત-જાપાન સંરક્ષણ મંત્રીસ્તરીય બેઠક દરમિયાન શોક વ્યક્ત કર્યો અને આતંકવાદ સામે ભારત સાથે સહકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુએસ, યુરોપિયન યુનિયન, ઈજિપ્ત અને નોર્વે જેવા દેશોએ પણ આ હુમલાની નિંદા કરી અને ભારતને સમર્થન આપ્યું છે.