Saturday, April 26, 2025
More

    ‘ભારતને મળવું જોઈએ UNSCનું કાયમી સભ્યપદ’: મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માંગ, કહ્યું- વધુ મજબૂત બનાવીશું ભાગીદારી

    ભારત અને રશિયા (India-Russia Relations) વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 78મી વર્ષગાંઠ નિમિત્તે રશિયાએ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ભારતની વર્ષોથી ચાલી આવતી માંગ યુએન સુરક્ષા પરિષદમાં (UNSC) કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને રશિયાએ સમર્થન આપ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી વધતી રહેશે.

    ટેલિગ્રામ પરના પોતાના મેસેજમાં, રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. રશિયન મંત્રાલયે કહ્યું કે બંને દેશો વચ્ચે રાજકીય સંવાદ મજબૂત રહેશે અને બંને દેશોના નેતાઓ વચ્ચે બેઠકોની શ્રેણી ચાલુ રહેશે.

    મોસ્કોએ ભારત સાથેના તેના મૈત્રીપૂર્ણ સંબંધોના ઝડપી અને સ્થિર વિકાસ અને વિસ્તરણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારત સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. રશિયન વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર ઝડપથી વધી રહ્યો છે અને $60 બિલિયન સુધી પહોંચી ગયો છે.

    આ ઉપરાંત, બંને દેશો પરમાણુ ઉર્જા પર પણ સહયોગ કરી રહ્યા છે અને તમિલનાડુના કુંદનકુલમમાં એક પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. રશિયાએ કહ્યું કે બહુધ્રુવીય વિશ્વના નિર્માણ માટે બંને દેશોએ સંરક્ષણ, અવકાશ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન ચાલુ રાખવું જોઈએ. આનાથી વૈશ્વિક શાસનમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધશે.