આગામી સમયમાં BRICS સમિટ યોજાનાર છે ત્યારે તે પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં પીએમ મોદી (PM Modi) અને ભારતનો પણ ઉલ્લેખ કર્યો.
પુતિને કહ્યું કે, યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માટે પીએમ મોદીના પ્રયાસો સરાહનીય છે અને તેઓ કાયમ વાતચીત દરમિયાન આ બાબત પર ભાર મૂકતા રહે છે. સાથે એમ પણ ઉમેર્યું કે, રશિયા આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પક્ષમાં છે.
વ્લાદિમીર પુતિને કહ્યું, “રશિયા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ઇચ્છુક છે. પરંતુ યુક્રેન તરફથી વાટાઘાટો બંધ કરી દેવામાં આવી છે.”
PM મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “કાયમ વાતચીત દરમિયાન પીએમ મોદી આ બાબતનો ઉલ્લેખ કરે છે અને વિચારો વ્યક્ત કરે છે. તે માટે અમે તેમના આભારી છીએ.”
આ સિવાય તેમણે BRICS શું છે તે સમજાવવા પણ વડાપ્રધાન મોદીને ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, BRICS એ કોઈ પશ્ચિમનું વિરોધી સંગઠન નથી, પરંતુ જે રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે એમ તે એક નોન-વેસ્ટર્ન ગ્રુપ છે. તે કોઈનું વિરોધી જૂથ નથી.
નોંધવું જોઈએ કે આગામી 22-23 ઑક્ટોબરના રોજ રશિયામાં BRICS સમિટ યોજાશે, જેમાં ભાગ લેવા માટે પીએમ મોદી પણ જઈ રહ્યા છે.