કાશ્મીરના પહલગામમાં થયેલા ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ગાંધી પરિવારના સભ્ય અને રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ એક ઘૃણાસ્પદ વાત કહી છે. તેમણે ઇસ્લામી આતંકવાદીઓને ઘટના માટે જવાબદાર ઠેરવવાના સ્થાને હિંદુ-મુસ્લિમ વચ્ચે કથિત રીતે વૈમનસ્ય ઊભું કરવા માટે મોદી સરકારને જ જવાબદાર ઠેરવી દીધી અને કહ્યું કે, મુસ્લિમોને લાગે છે કે હિંદુઓ તેમના માટે સમસ્યાઓ સર્જી રહ્યા છે, એટલે આતંકી સંગઠનો આવું કરી રહ્યાં છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં રોબર્ટ વાડ્રાએ પહેલાં તો ઘટના વિશે વાત કરતાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પરંતુ પછી વિગતવાર બોલતાં દોષ સરકાર પર નાખી દીધો.
#WATCH | #PahalgamTerroristAttack | Delhi | Businessman Robert Vadra says, "I feel terrible and my deepest condolences are for the people who have died in this terrorist act…In our country, we see that this government will talk about Hindutva, and the minorities feel… pic.twitter.com/Hi45M88xaK
— ANI (@ANI) April 23, 2025
રોબર્ટ વાડ્રા કહે છે કે, “આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે સરકાર હિન્દુત્વની વાત કરે છે, એટલે લઘુમતીઓ સુરક્ષિત અનુભવતા નથી અને તેમને લાગે છે કે તેમની સામે સમસ્યાઓ છે. મસ્જિદોના સરવે થાય છે. લોકોને અમુક રીતે નમાજ ન પઢવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની બાબતો સાંપ્રદાયિકતા વધારે છે.”
આગળ રોબર્ટે કહ્યું, “તમે આ આતંકવાદી કૃત્યને જોશો, તેઓ (આતંકવાદીઓ) લોકોની ઓળખ જાણવા માંગતા હતા? કેમ? કારણ છે દેશમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઊભી થયેલી ખાઈ. જેનાથી આ પ્રકારનાં સંગઠનોને લાગે છે કે હિંદુઓ મુસ્લિમો માટે સમસ્યાઓ સર્જી રહ્યા છે. કોઈની ઓળખ જાણીને પછી તેની હત્યા કરવી, એ વડાપ્રધાન માટે એક સંદેશ છે, કારણ કે મુસ્લિમો નિર્બળતા અનુભવી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામી આતંકવાદીઓએ હુમલો કરીને નિર્દોષ હિંદુ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી. તેમને પહેલાં તેમની ઓળખ પૂછવામાં આવી અને હિંદુઓને અલગ તારવીને મારી નાખવામાં આવ્યા. ઘટનાથી દેશભરમાં આક્રોશ છે. બીજી તરફ રોબર્ટ વાડ્રાને દોષ સરકાર અને હિંદુઓ પર નાખવામાં રસ છે.