પશ્ચિમ બંગાળના બહુચર્ચિત આરજી કર રેપ વિથ મર્ડર કેસમાં ટ્રાયલ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ હવે CBI તેના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવા જઈ રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં CBI કલકત્તા હાઈકોર્ટમાં સંજય રોયને મોતની સજા ફટકારવાની માંગ કરશે. આ પહેલાં નીચલી કોર્ટે તેને આજીવન કેદની સજા આપી હતી. એજન્સીની માંગ છે કે ગુનેગારને મૃત્યુદંડ આપવામાં આવે.
રિપોર્ટમાં CBIના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી આગામી 2 દિવસમાં કલકત્તા હાઇકોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારશે. CBI અરજી દાખલ કરીને ગુનેગાર સંજય રોય માટે ફાંસીની સજાની માંગ કરશે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ સરકાર પણ આ મામલે હાઈકોર્ટ પહોંચી છે અને દોષી માટે ફાંસીની સજાની માંગ કરી છે. CBIએ મમતા સરકારના આ પગલાંનો વિરોધ કરતાં જણાવ્યું છે કે માત્ર અભિયોજન પક્ષ જ આ નિર્ણયને પડકારવા માટેનો અધિકારી છે. વાસ્તવમાં આ કેસમાં CBI પોતે અભિયોજન પક્ષ છે અને શરૂઆતથી જ દોષીને ફાંસીના માંચડે લટકાવવાની એજન્સીની માંગ રહી છે.
RG Kar rape-murder case | CBI will file an application before Calcutta High Court seeking the death penalty for convict Sanjay Roy. The application will be filed in the next two days: CBI Sources
— ANI (@ANI) January 22, 2025
પશ્ચિમ બંગાળની નીચલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરીને તેને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા ફટકારી હતી. CBIએ આ કેસને રેર-ઓફ-ધ-રેર કેસ માનવા ભલામણ કરી હતી, પરંતુ નીચલી કોર્ટે આ કેસને રેર કેસમાં નહોતો લીધો. ત્યારે મમતા સરકાર પણ વચ્ચે કૂદી પડી. હાલ હાઇકોર્ટે કહ્યું છે કે, તેઓ પહેલાં CBI, પીડિતના પરિવાર અને દોષીના વકીલને સાંભળશે અને બાદમાં જ કોઈ નિર્ણય લેશે. આ મામલે કલકત્તા હાઈકોર્ટ આગામી 25 જાન્યુઆરી, 2025ના રોજ સુનાવણી કરશે.