Thursday, May 22, 2025
More

    ‘જિન મોહિ મારા, તિન મોહિ મારે’: ઑપરેશન સિંદૂર વિશે રાજનાથ સિંઘે કહ્યું– આપણે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું

    ઑપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને પાઠ ભણાવ્યા બાદ હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે અને આતંકવાદની હિંમત તોડવા માટે તેને જરૂરી ગણાવી છે. રાજનાથ સિંઘે બુધવારે (7 મે) 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 BRO ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમયે આ નિવેદન આપ્યું હતું.

    તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાએ દેશનું ગૌરવ વધાર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, “ભારતીય સેનાએ પોતાના શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતાં એક નવો ઇતિહાસ લખ્યો છે. ભારતીય સેનાએ સચોટ, સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરી છે. અમે જે લક્ષ્ય નક્કી કર્યું હતું, તેને ચોકસાઇપૂર્વક પ્લાનિંગથી ધ્વસ્ત કર્યું છે. ભારતીય સેનાએ કોઈપણ નાગરિક સ્થાનને જરાપણ પ્રભાવિત થવા ન દેવાની સંવેદનશીલતા દર્શાવી છે. સેનાએ એક પ્રકારની માનવતા દર્શાવી છે.”

    આગળ તેમણે કહ્યું કે, “ઑપરેશન સિંદૂર માટે હું આપણી સેનાના જવાનો અને અધિકારીઓને દેશ તરફથી અભિનંદન આપું છું. હું સેનાને સંપૂર્ણ સમર્થન આપવા બદલ વડાપ્રધાન મોદીનો પણ આભાર માનું છું. ‘અમે હનુમાનજીના તે આદર્શનું પાલન કર્યું છે, જે તેમણે અશોક વાટિકા નષ્ટ કરતી વખતે કર્યું હતું. ‘જિન મોહિ મારા, તિન મોહિ મારે. એટલ કે ફક્ત તેમને માર્યા છે જેમણે માસૂમોને માર્યા છે.”

    વધુમાં તેમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી સેનાએ ‘ઑપરેશન સિંદૂર’ લૉન્ચ કરીને પહેલાંની જેમ આ વખતે પણ આતંકવાદીઓને ટ્રેનિંગ આપનાર કેમ્પોને નષ્ટ કરીને આકરો જવાબ આપ્યો છે. ભારતે પોતાની જમીન પર હુમલાનો જવાબ આપવા માટે પોતાના ‘રાઇટ ટૂ રિસ્પોન્ડ’ નો ઉપયોગ કર્યો છે. અમે આ કાર્યવાહી સમજી વિચારીને કરી છે. આતંકવાદીના મનોબળને તોડી પાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી ફક્ત તેમના કેમ્પો અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી જ સિમિત રાખવામાં આવી છે. હું આપણી સેનાના શૌર્યને નમન કરુ છું.”