Sunday, May 4, 2025
More

    રાહુલ ગાંધીએ ભગવાન રામને ગણાવ્યા ‘માયથોલોજીકલ’: ભાજપે કહ્યું- કોંગ્રેસ હિંદુવિરોધી, રામસેતુ તોડવા માટે સોનિયા ગાંધીની પણ હતી આ જ ભાષા

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં બેસીને ભગવાન રામ સહિતના ભારતીય દેવતાઓને ‘માયથોલોજીકલ’ ગણાવી દીધા છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિંદુ દેવી-દેવતાઓને ‘માયથોલોજીકલ’ ગણાવી દીધા હતા. વાયરલ થઈ રહેલી ક્લિપમાં સાંભળી શકાય છે કે, તેઓ કહી રહ્યા છે કે, “તમામ માયથોલોજીકલ ફિગર હતા. લોર્ડ રામ પણ તે પ્રકારના હતા. તેઓ ક્ષમાશીલ અને દયાળુ હતા.”

    વિડીયો વાયરલ થયા બાદ ભાજપે રાહુલ ગાંધીને આડેહાથ લીધા છે. ભાજપ પ્રવક્તા શહેઝાદ પુનાવાળાએ કહ્યું છે કે, દેશ ભગવાન રામના અસ્તિત્વ પર શંકા કરવાને લઈને રાહુલ ગાંધીને ક્યારેય માફ નહીં કરે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘રાષ્ટ્રદ્રોહી કોંગ્રેસ હવે રામદ્રોહી કોંગ્રેસ.”

    વધુમાં તેમણે લખ્યું કે,”રાહુલ ગાંધી કહે છે કે, પ્રભુ રામ માયથોલોજીકલ અથવા કાલ્પનિક છે. તેથી જ તેમણે રામ મંદિરનો પણ વિરોધ કર્યો હતો અને પ્રભુ શ્રીરામના અસ્તિત્વ પર પણ શંકા કરી હતી.” વધુમાં તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહે છે કે, “આ રામ અને હિંદુવિરોધી પાર્ટીનો સૌથી મોટો સંકેત છે. હિંદુઓ અને ભગવાન રામનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે.”