Wednesday, May 14, 2025
More

    પહલગામ આતંકી હુમલાના વિરોધમાં UKના વિવિધ શહેરોમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન: લંડનમાં લાગ્યા ‘ઓલ આઈઝ ઓન પહલગામ’ના બેનર અને ‘પાકિસ્તાન આતંકવાદ બંધ કરો’ના નારા

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં (Pahalgam Terrorist Attack) 22 એપ્રિલે થયેલા ઘાતક આતંકવાદી હુમલાના વિરોધમાં લંડનમાં (London) ભારતીય ડાયસ્પોરાએ (Indian Diaspora) ભારે વિરોધ પ્રદર્શન (Protest) કર્યું. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ હુમલાની વિરોધમાં ભારતીય સમુદાયે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થઈ, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની નિંદા કરતું પ્રદર્શન યોજ્યું હતું.

    27 એપ્રિલે યોજાયેલા ‘ઓલ આઈઝ ઓન પહલગામ’ પ્રદર્શનમાં હજારો ભારતીય સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ તિરંગો લહેરાવ્યો અને પીડિતોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવીતી. આ દરમિયાન, પાકિસ્તાની સમુદાયે ભારત વિરુદ્ધ ‘પ્રોપેગેન્ડા’ ફેલાવવાનો આરોપ લગાવ્યો, પરંતુ ભારતીય પ્રદર્શનકારીઓની સંખ્યા અને જોશ સામે તેમનું પ્રદર્શન ઝાંખું રહ્યું.

    આ પ્રદર્શન દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ તેમજ ‘પાકિસ્તાન આતંકવાદ બંધ કરો’ જેવા નારા લાગ્યા હતા.

    ભારતીય ડાયસ્પોરાના એક સભ્યએ કહ્યું, “જે બન્યું તેનાથી અમે ખરેખર દુઃખી છીએ અને તેથી જ અમે અહીં વિદેશમાં રહેતા અમારા ભારતીય સમુદાયને ટેકો આપવા આવ્યા છીએ. અમારુ હૃદય હંમેશા અમારી માતૃભૂમિ સાથે છે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને તેનાથી અમને દુઃખ થાય છે. અમે અહીં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ…”

    ભારતીય સમુદાયે પાકિસ્તાનના આતંકવાદી સમર્થન અને હુમલાની જવાબદારી લેનાર લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની (TRF) કડક ટીકા કરી હતી. નોંધનીય છે કે 25 એપ્રિલે પણ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર ભારતીય ડાયસ્પોરાએ પ્રદર્શન કર્યું હતું.

    લંડન ઉપરાંત, યુકેના માન્ચેસ્ટર, એડિનબર્ગ અને બેલફાસ્ટમાં પણ ભારતીય ડાયસ્પોરાએ સમાન પ્રદર્શનો યોજ્યાં. આ પ્રદર્શનોમાં ‘આતંકવાદ બંધ કરો’ જેવા સંદેશાઓ સાથે પ્લેકાર્ડ્સ અને બેનરો જોવા મળ્યાં હતા. નોંધનીય છે કે અમેરિકામાં પણ ભારતીય ડાયસ્પોરાએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.