સોમવારે (10 ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રયાગરાજ સ્થિત મહાકુંભ જશે અને સંગમમાં સ્નાન પણ કરશે. રવિવારે જારી કરવામાં આવેલા એક આધિકારિક નિવેદનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 8 કલાકથી પણ વધુ સમય સુધી પ્રયાગરાજમાં રહેશે.
વધુમાં જાણવા મળ્યું છે કે, તેઓ સંગમ સ્નાન કરીને અક્ષયવટ અને બડે હનુમાનજી મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન પણ કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિની મુલાકાતને જોતાં પ્રયાગરાજમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
જાહેર કરવામાં આવેલા આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સવારે સંગમ નોજ પહોંચીને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. દેશના પ્રથમ નાગરિક તરીકે સંગમમાં ડૂબકી લગાવવાની તે ક્ષણ ઐતિહાસિક પણ સાબિત થશે. ત્યારબાદ તેઓ અક્ષયવટનું પૂજન કરશે.