Wednesday, May 21, 2025
More

    રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા વડાપ્રધાન મોદી, પ્રેસિડેન્ટ મૂર્મુને ‘ઑપરેશન સિંદૂર’ વિશે આપી જાણકારી

    ભારતે પહલગામ આતંકી હુમલાનો (Pahalgam Terrorist Attack) પ્રતિશોધ લેવા માટે ‘ઑપરેશન સિંદૂર’ ચાલાવ્યું હતું. જે અંગે આર્મીએ બ્રિફિંગ આપ્યા બાદ PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને (Droupadi Murmu) ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) અંગે વિગતવાર માહિતી આપી.

    ‘ઑપરેશન સિંદૂર’ અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને PoKમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ હુમલાઓ પહલગામ આતંકવાદી હુમલાના લગભગ બે અઠવાડિયા બાદ કરવામાં આવ્યા છે, જેમાં હિંદુ પર્યટકો સહિત 26 લોકો માર્યા ગયા હતા. સરકારે જણાવ્યું છે કે આ ઑપરેશનમાં પાકિસ્તાનની કોઈ સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં નથી.

    આ ઑપરેશન ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય વાયુસેનાએ રાત્રિના સમયે જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોનાં મુખ્ય મથકો પર હુમલા કર્યા હતા. જે અંગે વિસ્તૃત માહિતી આપવા PM મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે.

    સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે હતા, જેમાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને સંચાલન કરવામાં આવતું હતું.