Monday, June 23, 2025
More

    ‘તેમના સાહસ અને સંઘર્ષ પ્રત્યે રાષ્ટ્ર કૃતજ્ઞ’: PM મોદીએ વીર સાવરકરની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, ગૃહમંત્રી શાહે શેર કર્યો સ્વાતંત્ર્યવીરે રચેલ ગીતના હિન્દી સંસ્કરણનો વિડીયો  

    28મેના રોજ રાષ્ટ્રનાયક વિનાયક દામોદર સાવરકરની (Vinayak Damodar Savarkar) જન્મજયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. PM મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર સાવરકરના સાહસ અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં. સાવરકરે ભારતની આઝાદી માટે અને રાષ્ટ્રીય એકતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના વિચારો અને યોગદાન આજે પણ લોકોને પ્રેરણા આપે છે.

    PM મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ભારત માતાના સાચા સપૂત વીર સાવરકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. વિદેશી સરકારના કઠોર ત્રાસ પણ માતૃભૂમિ પ્રત્યેની તેમની ભક્તિને ડગાવી શક્યા નહીં.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “કૃતજ્ઞ રાષ્ટ્ર સ્વતંત્રતા ચળવળમાં તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષની ગાથાને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતની રચનામાં માર્ગદર્શક બનશે.” આ પોસ્ટ સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો હતો.

    આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ક્રાંતિકારીઓના મુગટના રત્ન સમાન વીર સાવરકરજીનું જીવન માતૃભૂમિ પ્રત્યેની ભક્તિના શિખરનું પ્રતીક છે. વીર સાવરકરજીનું જીવન દર્શાવે છે કે રાષ્ટ્ર અને માતૃભૂમિ પ્રત્યેની લાગણીઓ વ્યક્તિના હૃદયમાં કેટલી ઊંડી હોઈ શકે છે. વીર સાવરકરજી, એક દુર્લભ સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત, એક ઓજસ્વી લેખક પણ હતા.”

    તેમણે લખ્યું હતું કે, “વીર સાવરકરજી દ્વારા રચિત ‘અનાદી મી… અનંત મી…’ ગીત ભારત માતા પ્રત્યેના અપાર પ્રેમનું પ્રતીક છે અને દરેક ભારતીયની ભાવનાત્મક અભિવ્યક્તિ છે. હું આ ગીતનો હિન્દીમાં અનુવાદ કરનારી સમગ્ર ટીમને અભિનંદન આપું છું.” સાથે તેમણે ગીતના હિન્દી સંસ્કરણનો વિડીયો પણ શેર કર્યો હતો.