Sunday, May 18, 2025
More

    પહલગામ આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ ટૂંકાવી સાઉદીની યાત્રા, રાત્રે જ ભારત આવવા રવાના થશે

    કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સાઉદી અરબની યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત ટૂંકાવી દીધી છે. તેઓ આજે રાત્રે જ ભારત આવવા માટે રવાના થશે અને સવારે ભારત પહોંચશે. 

    વડાપ્રધાન મંગળવારે (22 એપ્રિલ) બે દિવસ માટે સાઉદીની યાત્રાએ ગયા હતા. પરંતુ સાંજે આતંકી હુમલો થયા બાદ તેમણે યાત્રા ટૂંકાવવાનો નિર્ણય કર્યો છે. પહેલાં તેમની જે ફ્લાઇટ બુધવારની રાત્રે શિડ્યુલ હતી તે હવે મંગળવારે મોડી રાત્રે જ રવાના થશે અને વહેલી સવાર સુધીમાં ભારત પરત ફરશે. 

    હુમલા બાદ પીએમ મોદીએ સાઉદી અરેબિયા દ્વારા જે અધિકારિક રાત્રિભોજનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ ભાગ લીધો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સતત ભારતમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે સંપર્કમાં છે. 

    ગૃહમંત્રી અમિત શાહ હાલ જમ્મુ-કાશ્મીર પહોંચી ચૂક્યા છે. શ્રીનગરમાં તેમણે એક અગત્યની બેઠક પણ યોજી હતી. હાલ સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવી છે.