વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22 એપ્રિલે સાઉદી અરેબિયાની (Saudi Arabia Visit) મુલાકાતે રવાના થયા છે, જે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવાનું એક મહત્વનું પગલું છે. આ મુલાકાત પહેલાં PM મોદીએ આરબ ન્યુઝ સાથેની વાતચીતમાં સાઉદી અરેબિયામાં રહેતા ભારતીયો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.
PM મોદીએ સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી અને તેમને ‘રાષ્ટ્રદૂત’ તેમજ ‘લિવિંગ બ્રિજ’ ગણાવ્યા હતા. PM મોદીએ જણાવ્યું, “સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય સમુદાયે પોતાની મહેનત, કુશળતા અને સમર્પણ દ્વારા ભારતનું નામ રોશન કર્યું છે. તમે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોનો જીવંત સેતુ છો, જે બંને દેશોની સંસ્કૃતિ, આર્થિક અને સામાજિક બાબતોને જોડે છે.”
નોંધનીય છે કે સાઉદી અરેબિયામાં લગભગ 26 લાખ ભારતીયો રહે છે, જેઓ વિવિધ ક્ષેત્રો જેવા કે ટેકનોલોજી, હેલ્થકેર, બાંધકામ, શિક્ષણ અને ઉદ્યોગોમાં પોતાની કુશળતા દ્વારા યોગદાન આપે છે. તેમને સંબોધતા PM મોદીએ કહ્યું કે, “તમારી સફળતા એ ભારતની ગૌરવગાથા છે. તમે ભારતની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોને વિદેશની ધરતી પર ઉજાગર કરો છો અને સાઉદી અરેબિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવો છો.”
#WATCH | Delhi: Prime Minister #NarendraModi emplanes for #SaudiArabia. pic.twitter.com/1p9iF7n3cS
— TIMES NOW (@TimesNow) April 22, 2025
તેમણે ભારતીયોને સાઉદી અરેબિયાના વિઝન 2030માં ભાગીદાર બનવા અને બંને દેશોની મિત્રતાને વધુ મજબૂત કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે ઉમેર્યું, “તમે માત્ર ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતા, પરંતુ બંને દેશોની સંસ્કૃતિ, આર્થિક સંબંધો અને પરસ્પર સમજણને જોડવાનું માધ્યમ બન્યા છો.”
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે, જેમાં વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, નવીનીકરણીય ઊર્જા અને ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થશે. મોદીએ આશા વ્યક્ત કરી, “આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સહકારને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને બંને દેશોના લોકો માટે નવી તકો ઊભી કરશે.”