Thursday, February 27, 2025
More

    ‘એકતાનો મહાયજ્ઞ’ પૂર્ણ થયો…: મહાકુંભના સમાપન પર PM મોદીએ લખ્યો બ્લોગ, ગણાવ્યો યુગ પરિવર્તનનો સંકેત

    પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના (Prayagraj Mahakumbh 2025) સમાપન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મહાકુંભ વિશે એક બ્લોગ (Blog) લખ્યો હતો. મહાકુંભને ‘એકતાનો મહાયજ્ઞ’ તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે આ મહાકુંભમાં સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો એક થયા.

    PM મોદીએ બ્લોગમાં લખ્યું હતું કે, “મહાકુંભ પૂર્ણ થયો… ‘એકતાનો મહાયજ્ઞ’ પૂર્ણ થયો. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓથી ચાલી આવતી ગુલામી માનસિકતાના બધા જ બંધનો તોડીને નવી ચેતના સાથે હવામાં શ્વાસ લેવાનું શરૂ કરે છે, ત્યારે એવું જ દ્રશ્ય ઉપસ્થિત થાય છે જેવું આપણે 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં જોયું.”

    આગળ તેમણે લખ્યું હતું કે, “જો આધ્યાત્મિક ક્ષેત્રમાં સંશોધન કરનારા લોકો કરોડો ભારતીયોના આ ઉત્સાહનો અભ્યાસ કરે, તો તેમને ખ્યાલ આવશે કે પોતાના વારસા પર ગર્વ ધરાવતું ભારત હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. હું માનું છે કે, આ યુગ પરિવર્તનની એ આહટ છે, જે ભારતનું નવું ભવિષ્ય લખવા જઈ રહી છે.”

    તેમણે આ બ્લોગમાં મહાકુંભની તસ્વીરો પણ શેર કરી હતી. આ બ્લોગમાં તેમણે ભગવાન શ્રીરામ અને નિષાદરાજના મિલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશની જનતાના, પ્રયાગરાજના નિવાસીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.