પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના તાજા સંસ્કરણમાં વડાપ્રધાન નરન્દ્ર મોદીએ પહલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ હુમલાથી દેશભરમાં આક્રોશ છે, દેશવાસીઓનું લોહી ઉકળી રહ્યું છે. તેમણે આતંકવાદીઓને, તેમના આકાઓને પાઠ ભણાવવાના પોતાના વચનને ફરી યાદ કરાવ્યું અને કહ્યું કે દેશવાસીઓ વિશ્વાસ જાળવી રાખે.
તેમણે કહ્યું, “22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દરેક દેશવાસીને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં સંવેદના છે. તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પણ એ એ લોકોની પીડા અનુભવી રહ્યો છે, જેમણે હુમલામાં પરિજનો ખોયા છે. મને ખબર છે કે દરેક ભારતીયનું લોહી આતંકવાદી હુમલાની તસવીરો જોઈને ઉકળી રહ્યું છે.”
આ હુમલો આતંકીઓની કાયરતા અને હતાશા દર્શાવે છે તેમ કહીને તેમણે ઉમેર્યું કે, કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી હતી અને લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકો વધી રહ્યા હતા ત્યારે દેશના દુશ્મનો, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ પસંદ ન આવ્યું. તેમણે કાશ્મીરને ફરી તબાહ કરવા માટે આ ષડ્યંત્રને અંજામ આપ્યો.
તેમણે ઉમેર્યું કે, “આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં 140 કરોડ દેશવાસીઓની એકતા આપણી સૌથી મોટી તાકાત છે. આ જ એકતા આતંકવાદ વિરુદ્ધની નિર્ણાયક લડાઈનો આધાર છે.” પીએમ મોદીએ કહ્યું, “એક રાષ્ટ્ર તરીકે આપણે દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે. દુનિયા જોઈ રહી છે કે આતંકવાદ સામે આજે દેશ એક થઈ ગયો છે.”
વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ આક્રોશ આખી દુનિયામાં છે. આ આતંકી હુમલા બાદ સતત દુનિયાભરમાંથી સંવેદનાઓ આવી રહી છે. આખું વિશ્વ આતંકવાદ વિરુદ્ધ આપણી લડાઈમાં આપણી સાથે છે.”
અંતે તેમણે કહ્યું, “હું પીડિત પરિવારોને ફરીથી વિશ્વાસ અપાવું છું– તેમને ન્યાય મળશે. ન્યાય મળીને રહેશે. આ હુમલાના દોષીઓ અને ષડ્યંત્ર રચનારાઓને કઠોરતમ જવાબ આપવામાં આવશે.”