પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે (Pakistan PM Shahbaz Sharif) અઝરબૈજાનમાં એક કાર્યક્રમ દરમિયાન પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું કે ભારતના બ્રહ્મોસ મિસાઇલ હુમલાએ (Brahmos missile attack) પાકિસ્તાની સેનાને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દીધી. શરીફે કહ્યું કે 9-10 મેની રાત્રે ભારતે પાકિસ્તાનના અનેક મહત્વપૂર્ણ લશ્કરી એરબેઝો પર 15 બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલો છોડ્યા, જેના કારણે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી હતી.
શરીફે કહ્યું કે 10 મેની સવારે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરના નેતૃત્વમાં ભારત પર બદલો લેવાનો હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ ભારતના પહેલા હુમલાએ તેમની વ્યૂહરચના નિષ્ફળ બનાવી દીધી. મિસાઇલ હુમલામાં પાકિસ્તાનના ઘણા એરબેઝ નાશ પામ્યા હતા, જેના કારણે સેનાની કામગીરી ખોરવાઈ ગઈ હતી.
શાહબાઝ શરીફે સ્વીકાર્યું કે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે અમેરિકા પાસેથી મદદ માંગવી પડી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાની સરકાર અને સેના વારંવાર ભારત સામે પોતાની ‘સફળતા’નો દાવો કરી રહી છે.