ભારતે લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાંથી ઘણા વિડીયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી અતારઉલ્લાહ તરાર એક ટેલિવિઝન પર ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા હતા. તરારે લાઈવ ટીવીમાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં કોઈ આતંકી ઠેકાણાં નથી અને ભારતે નાગરિક વસાહતો પર હવાઈ હુમલા કર્યા છે.
આ દરમિયાન લાઈવ ટીવીના એન્કર યલ્દા હકીમે તરત જ પાકિસ્તાની મંત્રીના નિવેદનનું ફેક્ટચેક કરી નાખ્યું હતું. આ સાથે જ તેમણે પાકિસ્તાનના રક્ષા મંત્રીએ તાજેતરમાં જ તેમની ટીવી પર આપેલા નિવેદનને પણ યાદ કરાવ્યું હતું. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ થોડા દિવસો પહેલાં સ્કાય ન્યૂઝના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાકિસ્તાને ત્રણ દાયકાથી પશ્ચિમ દેશોના કહેવા પર ‘આતંકવાદનો ગંદો ધંધો’ કર્યો છે.
આ સાથે એન્કરે એ પણ કહ્યું કે, 9/11ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને પણ પાકિસ્તાનમાં જ મારવામાં આવ્યો હતો. આ સાથે જ એન્કરે એવું પણ કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાન ગયા છે અને સ્થિતિ વિશે જાણે પણ છે. આ સમગ્ર ચર્ચા દરમિયાન પાકિસ્તાની મંત્રીએ મૌન સેવી લીધું હતું.