Wednesday, April 16, 2025
More

    દુબઈમાં 2 ભારતીયોની તેમના જ પાકિસ્તાની સાથીએ છરીના ઘા મારીને કરી હત્યા, અન્ય એક ઘાયલ: મજહબી સુત્રોચ્ચાર સાથે હુમલો કર્યો હોવાનો પીડિત પરિવારનો દાવો

    વિશ્વના સૌથી વધુ સુરક્ષિત શહેરોમાનું એક દુબઈમાં (Dubai) 2 ભારતીયોની હત્યાનો (Indian’s Murder) ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ બંને ભારતીયો મૂળ તેલંગાણાના હતા. જેમની 11 એપ્રિલના રોજ તેમના જ પાકિસ્તાની (Pakistani) સાથીએ છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી.

    અહેવાલ મુજબ આ લોકોના મૃત્યુના સમાચાર 12 એપ્રિલે તેમના પરિવારને મળ્યા હતા. મૃતકોમાંનો એક નિર્મલ જિલ્લાના સોન ગામનો પ્રેમસાગર છે અને બીજો નિઝામાબાદનો શ્રીનિવાસ છે. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો.

    અહેવાલ મુજબ હત્યાનું કારણ ‘કાર્યસ્થળના તણાવ અને સાંપ્રદાયિક તણાવ’ ગણાવવામાં આવ્યું છે. પ્રેમસાગરના ભાઈ સંદીપે કહ્યું છે કે તેમના ભાઈની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે ભારતીય હતો. પ્રેમસાગરને બે પુત્રીઓ છે અને તેમણે તેમની નાની પુત્રીને જોઈ પણ નહોતી. કારણકે જ્યારે તે 2 વર્ષ પહેલાં દુબઈ ગયા ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી.

    મૃતક ભારતીય દુબઈમાં મોર્ડન બેકરી LLCમાં કામ કરતો હતો. પીડિતોના પરિવારના સભ્યોએ એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાની નાગરિકે મજહબી સૂત્રોચ્ચાર સાથે હુમલો કર્યો હતો. વિદેશ મંત્રાલય દુબઈના અધિકારીઓ સાથે મળીને મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ભારત લાવવા માટે કામ કરી રહ્યું છે.