Friday, May 16, 2025
More

    ‘ભારતે ઘરમાં ઘૂસીને માર્યા, આપણે રોકી ન શક્યા’: પાકિસ્તાની પ્રોપગેન્ડાની પોલ તેના જ નાગરિકે ખોલી, વિડીયો વાયરલ

    પહલગામ ઈસ્લામી આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર લૉન્ચ કરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાં ઉડાડ્યા બાદ હવે પાડોશમાં ફફડાટ પેસી ગયો છે. દરમ્યાન સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક પાકિસ્તાની નાગરિક જ પોતાની સેનાની પોલ ખોલતો જોવા મળે છે. 

    વિડીયોમાં તે કહે છે કે, “ભારતે પાકિસ્તાન પર 24 મિસાઈલ હુમલા કર્યા અને લગભગ તમામ મિસાઈલ ટાર્ગેટ પર જઈને પડી છે અને ભારતે જે ટાર્ગેટ નક્કી કર્યા હતા એ પૂરા કર્યા. આપણી ડિફેન્સ સિસ્ટમ એક પણ હુમલો રોકી ન શકી. આપણે નિષ્ફળ રહ્યા. ભારતે ખરેખર ઘૂસીને માર્યા અને આપણે તેમને રોકી ન શક્યા.” 

    આગળ તે ઈરાન અને ઇઝરાયેલનું ઉદાહરણ આપીને કહે છે કે, ઈરાન હજારો મિસાઈલ છોડે પણ તેમાંથી માંડ એકાદ-બે જ જઈને પડે છે, બાકીની તમામ ઇન્ટરસેપ્ટ થઈ જાય છે. પણ પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ જ સાવ નકામી છે, જે ભારતની એક પણ મિસાઈલ ન રોકી શકી. 

    વિડીયોમાં કહે છે કે, ભારતે હજુ સૈન્ય ઠેકાણાં કે નાગરિકોને નિશાન બનાવ્યાં નથી, જો તેમ કર્યું હોત તો શું-શું થયું હોત. આપણે તો એક પણ મિસાઈલ રોકી શકતા નથી. 

    પાકિસ્તાને ભારતનાં જેટ તોડી પાડ્યાં હોવાની અફવાઓ પર તેણે કહ્યું કે, “રાત્રે પાકિસ્તાની મીડિયા લાગ્યું હતું કે ભારતનાં જહાજ તોડી પાડ્યાં….પણ મેં જોયું એ તમામ ફોટા જૂના છે. ભારતનું હેડક્વાર્ટર તોડી પાડ્યું એમ પણ કહે છે, એ પણ સદંતર ફેક ન્યૂઝ છે. આવી કોઈ વાત નથી.”