Friday, May 23, 2025
More

    ભારતના મોટા નિર્ણયોની હારમાળાથી પાકિસ્તાનમાં હાયતૌબા: ભારતીય વિમાનો માટે બંધ કરી એરસ્પેસ, શિમલા કરારને લઈને પણ આપી ધમકી

    પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક રાજદ્વારી પગલાંથી પાકિસ્તાન (Pakistan) હચમચી ગયું છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો અને સિંધુ જળ સંધિને (Indus Water Treaty) સ્થગિત કરવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, ત્યારે હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પણ કટોકટી બેઠક યોજીને આક્રમક વલણ અપનાવ્યું છે. ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની (NSC) બેઠક બાદ પાકિસ્તાને ભારતના દરેક નિર્ણયનો જવાબ આપવાની ચેતવણી આપી છે.

    NSCની બેઠકમાં, પાકિસ્તાને સ્પષ્ટ કર્યું કે જો ભારત પોતાનું આક્રમક વલણ છોડશે નહીં, તો તે શિમલા કરાર સહિત તમામ દ્વિપક્ષીય કરારો રદ કરવાનું વિચારશે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતના પગલાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓનું ઉલ્લંઘન છે. પાકિસ્તાન સરકારે આરોપ લગાવ્યો હતો કે ભારત દ્વારા સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સસ્પેન્ડ કરવી એ યુદ્ધ સમાન છે અને તેનો સંપૂર્ણ રાષ્ટ્રીય તાકાતથી જવાબ આપવામાં આવશે.

    પાકિસ્તાને સાર્ક વિઝા માફી યોજના હેઠળ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા તાત્કાલિક અસરથી રદ કર્યા છે. ફક્ત શીખ યાત્રાળુઓને જ આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હવે કોઈ પણ ભારતીય વિમાન પાકિસ્તાનમાં પ્રવેશી શકશે નહીં કે તેના ઉપરથી ઉડી શકશે નહીં.