Sunday, May 18, 2025
More

    ‘PM મોદીએ જાળવ્યો અમારો ભરોસો… મારા પતિની આત્માને આજે મળી હશે શાંતિ’: પહલગામ હુમલાના પીડિત શુભમ દ્વિવેદીના પત્ની ઐશાન્યાએ ‘ઑપરેશન સિંદૂર’ બાદ પ્રધાનમંત્રીનો માન્યો આભાર

    22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી (Pahalgam Terrorist Attack) હુમલાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. કાગડોળે આ હુમલાના પ્રતિશોધની રાહ જોવાઈ રહી હતી. ત્યારે ભારતીય સેના હુમલાના બરાબર 15 દિવસ બાદ પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાઓ પર ઑપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ત્યારપછી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોના નિવેદન સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં શુભમ દ્વિવેદીના (Shubham Dwivedi’s Wife) પત્ની ઐશાન્યાનું નિવેદન સામે આવ્યું છે.

    ANI સાથેની વાતચીતમાં શુભમ દ્વિવેદીની પત્ની ઐશાન્યાએ જણાવ્યું, “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે તેમણે મારા પતિના મૃત્યુનો બદલો લીધો. મારા આખા પરિવારને તેમના પર જે રીતેનો વિશ્વાસ હતો તેમણે એ વિશ્વાસ કાયમ રાખ્યો છે.”

    તેમણે કહ્યું હતું કે, “જે રીતે તેમણે પાકિસ્તાનને જવાબ આપ્યો, તેનાથી અમારો ભરોસો જળવાયો છે. આ મારા પતિ માટે સાચી શ્રદ્ધાંજલિ છે. જ્યાં પણ મારા પતિ હશે, આજે તેમની આત્માને શાંતિ મળી હશે.”

    નોંધનીય છે કે 7 મે 2025ની વહેલી સવારે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને ઑપરેશન સિંદૂર હાથ ધર્યું. આ ઑપરેશનમાં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.