Friday, May 23, 2025
More

    IPL મેચમાં નહીં ફૂટે ફટાકડા, ન ચીયર લીડર્સ લેશે ભાગ, ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને રમશે મેચ: પહલગામ આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે BCCI

    22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલ આતંકી હુમલાને (Pahalgam Terrorist Attack) પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મોટા નિર્ણય લીધા છે. વર્તમાનમાં IPLનું આયોજન પણ ચાલી રહ્યું છે ત્યારે BCCIએ 23 એપ્રિલે યોજાનારી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાનારી મેચમાં હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ નિર્ણય લીધા છે.

    અહેવાલ અનુસાર IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં ફટાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ નિર્ણય શોકની ક્ષણોમાં ઉજવણીના માહોલને ટાળવા માટે લેવાયો છે. આ સિવાય આજની મેચમાં ચીયરલીડર્સને સામેલ કરવામાં આવશે નહીં. BCCIએ નિર્ણય લીધો છે કે આ ગંભીર પરિસ્થિતિમાં મેચનો માહોલ શાંત અને શોકપૂર્ણ રાખવામાં આવશે.

    પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મેચની શરૂઆત પહેલાં પીડિતોની યાદમાં બે મિનિટનું મૌન પાવામાં આવશે, જેમાં ખેલાડીઓ અને દર્શકો ભાગ લેશે. આ સિવાય સમગ્ર મેચ દરમિયાન તમામ ખેલાડીઓ તેમના હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમશે. BCCIએ આ નિર્ણયો દ્વારા રાષ્ટ્ર સાથે એકતા દર્શાવી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

    BCCIએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયો ફક્ત 23 એપ્રિલની મેચ માટે જ લાગુ થશે અને આગામી મેચોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, ટીમ મેનેજરો અને ખેલાડીઓને આ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.