Friday, May 16, 2025
More

    ‘જ્યાં સુધી ઇસ્લામ છે, ત્યાં સુધી રહેશે આતંકવાદ’: નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનનું પહલગામ હુમલાને લઈને નિવેદન, કહ્યું- 1400 વર્ષમાં મજહબમાં નથી થયો કોઈ વિકાસ

    તાજેતરમાં પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં પસંદગીપૂર્વક હિંદુઓને નિશાન બનાવવમાં આવ્યા હતા. આ ઘટનાની સમગ્ર દેશ અને વિશ્વમાં નિંદા થઈ રહી છે. આ જ ક્રમમાં નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને (Taslima Nasrin)  એક નિવેદન આપ્યું છે. દિલ્હી લિટરેચર ફેસ્ટિવલમાં (Delhi Literature Festival) બોલતાં તેમણે કહ્યું કે, “જ્યાં સુધી ઇસ્લામ છે, ત્યાં સુધી આતંકવાદ રહેશે.”

    તસ્લીમા નસરીને આ હુમલાને 2016ના ઢાકા હુમલા સાથે સરખાવતા કહ્યું કે, “ઢાકામાં પણ આતંકવાદીઓએ લોકોને કલમા બોલવા કહ્યું હતું અને જેઓ બોલી શક્યા નહીં તેમને મારી નાખવામાં આવ્યા. જ્યારે મજહબ તર્ક અને માનવતા પર હાવી થઈ જાય ત્યારે આવું થાય છે.”

    તેમણે વધુમાં ઉમેર્યું, “ઇસ્લામ 1400 વર્ષમાં વિકસિત થયો નથી. મદરેસાઓ બંધ કરવા જોઈએ અને બાળકોએ ફક્ત એક જ પુસ્તક નહીં, પરંતુ બધા પુસ્તકો વાંચવા જોઈએ.” આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, “યુરોપમાં ચર્ચો સંગ્રહાલયોમાં ફેરવાઈ ગયા છે, પરંતુ મુસ્લિમો દરેક જગ્યાએ મસ્જિદો બનાવવામાં વ્યસ્ત છે. હજારો મસ્જિદો છે અને તેઓ વધુ મસ્જિદો બનાવવા માંગે છે. તેઓ જેહાદીઓ બનાવે છે.”

    નોંધનીય છે કે, તસ્લીમા નસરીન 1994થી ઈશનિંદાના આરોપોને કારણે બાંગ્લાદેશ છોડીને સ્વીડન, અમેરિકા અને ભારત જેવા દેશોમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે, તેમણે ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.

    તેમણે કહ્યું કે, “જ્યારે હું કોલકાતા આવી ત્યારે મને ઘર જેવું લાગ્યું. પશ્ચિમ બંગાળમાંથી બહાર કાઢવામાં આવ્યા પછી પણ મને દિલ્હીમાં નવું ઘર મળ્યું. ભારતે મને તે પોતાનાપણું આપ્યું જે મારા પોતાના દેશે ન આપ્યું. હું ભારતને પ્રેમ કરું છું, આ મારું ઘર છે.”

    તસ્લીમાએ પોતાના નિવેદનમાં સમાન નાગરિક સંહિતાને (Uniform Civil Code) ટેકો આપતા કહ્યું કે, “કોઈપણ સભ્ય દેશ માટે સમાન નાગરિક સંહિતા જરૂરી છે.” તેમણે આ મુદ્દે ભારતમાં ચાલી રહેલી ચર્ચાઓને સમર્થન આપ્યું અને આવા કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.