Friday, May 16, 2025
More

    પહલગામ આતંકવાદી હુમલા બાદ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ જાહેર કરી એડ્વાઇઝરી: ચલાવશે એક્સ્ટ્રા ફ્લાઈટ્સ

    કાશ્મીર પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) પછી ચોંકાવનારી વિગતો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દરમિયાન એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગોએ (Indigo) એડ્વાઇઝરી જારી કરી છે અને અસરગ્રસ્ત મુસાફરો માટે ખાસ પગલાં લેવાની જાહેરાત કરી છે.

    એર ઇન્ડિયાએ બુધવાર, 23 એપ્રિલના રોજ શ્રીનગરથી મુખ્ય મહાનગરો માટે બે વધારાની ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. પહેલી ફ્લાઇટ સવારે 11:30 વાગ્યે દિલ્હી માટે રવાના થશે, ત્યારબાદ બીજી ફ્લાઇટ બપોરે 12:00 વાગ્યે મુંબઈ માટે રવાના થશે. એરલાઇને પુષ્ટિ આપી છે કે શ્રીનગર જતી અને આવતી તેની બધી નિયમિત ફ્લાઇટ્સ રાબેતા મુજબ ચાલુ રહેશે.

    એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયા 23 એપ્રિલ, બુધવારના રોજ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરશે.”

    વધુમાં લખ્યું હતું કે, “એર ઇન્ડિયા આ ક્ષેત્રો પર 30 એપ્રિલ, 2025 સુધી કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને મફત રિશેડ્યુલિંગ અને રદ કરવા પર સંપૂર્ણ રિફંડ પણ ઓફર કરી રહી છે. વધુ સહાય માટે, કૃપા કરીને અમારા સંપર્ક કેન્દ્રનો 011 69329333, 011 69329999 પર સંપર્ક કરો.”

    આ ઉપરાંત ઇન્ડિગોએ પણ પોસ્ટ કરતા લખ્યું હતું કે, “શ્રીનગરની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે રિશેડ્યુલિંગ/રદ કરવા પર છૂટ લંબાવી છે. અમે 23 એપ્રિલે બે ખાસ ફ્લાઇટ્સ પણ ચલાવી રહ્યા છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને https://goindigo.in વિઝીટ કરો અથવા +91 124 4973838 – +91 124 6173838 પર કૉલ કરો.”