Sunday, May 18, 2025
More

    ‘ભારતને જેવી જોઈએ એવી મદદ માટે અમે તૈયાર’: ઇઝરાયેલનું એલાન, કહ્યું- પહલગામ હુમલો યાદ કરાવે છે 7 ઑક્ટોબરની ઘટના

    જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતેનો (Pahalgam Terrorist Attack) 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં હિંદુ પર્યટકો સહિત 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલાને લઈને ઇઝરાયેલના (Israel) ભારતમાં રાજદૂત રેઉવેન અઝારે (Reuven Azar) ગહન શોક વ્યક્ત કર્યો અને આ હુમલાની ક્રૂરતાને 7 ઑક્ટોબર, 2023ના હમાસના ઇઝરાયેલ પરના હુમલા સાથે સરખાવ્યો હતો.

    તેમણે જણાવ્યું કે, આ હુમલામાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા, જે ઇઝરાયેલમાં નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં થયેલા હુમલા જેવું જ છે, જ્યાં 1,100થી વધુ લોકો માર્યા ગયા હતા. રેઉવેન અઝારે કહ્યું કે, આતંકવાદી સંગઠનો એકબીજાને પ્રેરણા આપી રહ્યા છે અને તેમની વચ્ચે સંકલન વધી રહ્યું છે.

    તેમણે એમ પણ જણાવ્યું કે, 7 ઑક્ટોબરના હુમલા બાદ હમાસના નેતાઓને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં (PoK) આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે એક ચિંતાજનક સંકેત છે. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રોને ઉજાગર કરવા અને તેમની સામે કડક પગલાં લેવાની હિમાયત કરી.

    ઇઝરાયેલે ભારતને આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. અઝારે જણાવ્યું કે ઇઝરાયેલ ભારતને ગુપ્તચર માહિતી, ટેકનોલોજી, અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવા તૈયાર છે. તેમણે ભારત સરકારના કડક વલણની પ્રશંસા કરી હતી.

    આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના સંગઠને લીધી છે, જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબાનું એક પ્રોક્સી સંગઠન માનવામાં આવે છે. જોકે, બાદમાં એ સંગઠને ‘ભૂલથી આવું થયું’ હોવાનું કહ્યું હતું. અઝારે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે એકજૂટ થવા અને આવા હુમલાઓને રોકવા માટે સહયોગ વધારવા અપીલ કરી હતી.