Tuesday, May 20, 2025
More

    ‘ઑપરેશન સિંદૂર’ બાદ શ્રીનગર, જમ્મુ, અમૃતસર સહિતના એરપોર્ટ કરાયા અસ્થાયી રૂપે બંધ: સરહદી વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ સ્થગિત

    ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ ઉત્તર ભારતના સરહદી વિસ્તારોમાં આવેલા અનેક એરપોર્ટ (Airport Shut Down) અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) પહલગામ આતંકી હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવી હતી. આ હુમલાઓ બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો છે, જેના પરિણામે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.

    ભારતના ઉત્તરીય રાજ્યોમાં આવેલા અનેક એરપોર્ટ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં સ્થિત એરપોર્ટને સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવ્યા છે. બંધ કરાયેલા એરપોર્ટમાં શ્રીનગર (SXR), જમ્મુ (IXJ), અમૃતસર (ATQ), લેહ (IXL), ધર્મશાલા (DHM), ચંદીગઢ સહિતના એરપોર્ટનો સમાવેશ થયો હોવાનું સામે આવ્યું છે.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર એર ઇન્ડિયાએ આજે ​​બપોરે 12 વાગ્યા સુધી નવ શહેરો – જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટથી આવતી અને જતી બધી ફ્લાઇટ્સ રદ્દ કરવાની જાહેરાત કરી છે.

    આ ઉપરાંત, સરહદી વિસ્તારોમાં શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી, પુંછ, અમૃતસર જેવા જિલ્લાઓમાં આજે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે.