મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Elections) પૂર્ણ થયા બાદ બાદ હવે મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. શપથગ્રહણ સમારોહ માટેની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. પરંતુ, તે પહેલાં મુખ્યમંત્રી પદને લઈને વિચારણા ચાલી રહી છે. તેવામાં જાણવા મળી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ વિધાયક દળની બેઠકને (Maharashtra BJP Legislative Party Meeting) લઈને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા છે.
સોમવારે (2 ડિસેમ્બર) ભારતીય જનતા પાર્ટીએ આધિકારિક ઘોષણા કરતા બંને ભાજપ નેતાના નામ જાહેર કર્યા હતા. ભાજપની પ્રેસનોટમાં લખવામાં આવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની ચૂંટણી માટે વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત અને પ્રદેશ પ્રભારી પંજાબ) તથા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
નોંધવા જેવું છે કે, ભાજપની આ વિધાયક દળની બેઠક પૂર્ણ થયા બાદ જ મુખ્યમંત્રી ચહેરાને લઈને સમાચારો સામે આવી શકશે. આ બેઠકમાં ધારાસભ્યો પોતાના નેતા તરીકે મુખ્યમંત્રીની પસંદગી કરશે.