સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન એક્ટ મામલે દાખલ કરાયેલી અરજીઓની સુનવાણી આજે (5 મે) ટાળી દીધી છે. હવે 15 મેએ સુનાવણી હાથ ધરાશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું છે કે, આ મામલે વિસ્તારથી સુનાવણી કરવાની જરૂર છે. તેમણે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી કે, તેઓ આ સ્તર પર કોઈ આદેશ કે નિર્ણય સાંભળવવા ઇચ્છુક નથી, કારણ કે આ મામલે વિસ્તૃત સુનાવણીની જરૂર છે.
વધુમાં મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ કહ્યું હતું કે, તેઓ આગામી ચીફ જસ્ટિસ ગવઈને આ મુદ્દાઓ પર વિચાર કરવા માટે કેટલોક સમય આપવા માંગે છે. નોંધનીય છે કે, CJI ખન્ના 13 મેના રોજ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે અને ત્યારબાદ જસ્ટિસ ગવઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેશે.
આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, વક્ફ જોગવાઈઓના દુરુપયોગના કારણે ખાનગી અને સરકારી સંપત્તિઓ પર મોટાપાયે અતિક્રમણન થયું છે. જેમાં 2013 અને 2024 વચ્ચે વક્ફની જમીનોમાં 116%ની વૃદ્ધિ પણ થઈ છે. જોકે, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે (AIMPLB) આરોપ લગાવ્યો હતો કે, સરકાર ખોટા આંકડા જાહેર કરે છે. હવે આ મામલેની સુનાવણી 15 મેના રોજ થશે.